રાજયની રાજધાની ગાંધીનગરમાં ધારાસભ્યો, સાંસદો અને સરકારી અધિકારીઓ તેમ જ કર્મચારીઓને ફાળવેલા રાહત દરના પ્લોટમાં બાંધકામ પૂર્ણ કરવા માટે અપાયેલી મુદ્દત ૩૧મી માર્ચના રોજ પૂર્ણ થઈ ગઈ છે. મુદ્દત પૂર્ણ થતાં બાંધકામ ના થયું હોય તેવા પ્લોટમાં શરતભંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે પરંતુ પ્લોટધારકોમાં સાંસદો, ધારાસભ્યો અને સરકારના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થતો હોવાથી તંત્ર શરતભંગની કાર્યવાહી કરવા અંગે હજુ અસમંજસ અનુભવી રહી છે. નોંધનિય છે કે છ વર્ષથી મુદ્દત લંબાવવામાં આવી હોવા છતાં સંખ્યાબંધ પ્લોટમાં હજુ પણ બાંધકામ થયું નથી.
મુદ્દત પૂર્ણ થતાં કલેક્ટર કચેરી દ્વારા શરતભંગની મંજૂરી આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે પરંતુ ચૂંટણીનું વર્ષ હોવાથી ફરી એક વખત મુદ્દત વધારવામાં આવે તેવી શક્યતાઓ છે. રાહત દરે ફાળવવામાં આવતા રહેણાક પ્લોટમાં નિયત સમય મયર્દિામાં બાંધકામ કરી શકાય તેવી શરત રાખવામાં આવતી હોય છે. રાહત દરના પ્લોટમાં નિશ્ચિત સમય મયર્દિાએ બાંધકામ કરવું ફરજિયાત છે. તે છતાં ઘણા પ્લોટધારકોએ બાંધકામ હજુ સુધી ક્યિ નથી. આ શરતના ભંગ બદલ પ્લોટ સરકાર હસ્તક કરવાની પણ જોગવાઈ છે. બાંધકામ માટેની મુદ્દત ૩૧મી માર્ચના રોજ પૂર્ણ થઈ જાય છે. રાજય સરકાર દ્વારા છેલ્લા છ વર્ષથી બાંધકામ માટેની મુદ્દત લંબાવવામાં આવી છે. પ્લોટધારકોની યાદીમાં ધારાસભ્યો, સાંસદોથી લઈ સનદી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓના નામ સામેલ હોવાથી રાજય સરકાર કુણુ વલણ અપનાવી છેલ્લા છ વર્ષથી મુદ્દત વધારી રહી છે. વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી હોવાથી કડક પગલા લેવાના બદલે ફરીથી મુદ્દત વધારવામાં આવે તેવી શક્યતા છે.