સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી સેનેટની ચૂંટણીના અલગ અલગ ત્રણ તબક્કાઓ શાંતિપૂર્ણ રીતે પસાર થઇ ગયા છે પરંતુ આગામી તા.૮ને રવિવારે યોજાનારી નોંધાયેલા સ્નાતકોના વિવિધ વિભાગની ૧૧ બેઠકો માટેની ચૂંટણી પૂર્વે ભારે ઉત્તેજનાસભર માહોલ સર્જાયો છે. રવિવારે યોજાનારી આ ચૂંટણી પૂર્વે અત્યારથી જ ગરમાવો આવી ગયો છે અને મતદાનના દિવસે કંઇક નવાજૂની થવાની શકયતા પણ નકારાતી નથી.
નોંધાયેલા સ્નાતકના વિવિધ વિધાશાખાની આ ચૂંટણીમાં સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના અને શિક્ષણ જગતના અનેક દિગ્ગજોએ ઝંપલાવ્યું હોવાથી આ વિધાશાખાનું પરિણામ શું આવે છે ? તેના પર સૌ કોઇ મીટ માંડીને બેઠા છે. રવિવારે સવારે ૧૧થી સાંજના ૫ વાગ્યા સુધી અલગ અલગ કેન્દ્રો પર મતદાન યોજાશે. તા.૧૧ના રોજ બુધવારે સવારે ૧૦ વાગ્યે મતપત્રકોની ચકાસણી અને મતગણતરી હાથ ધરવામાં આવશે જો કે પરિણામ તા.૧૨ના રોજ જાહેર કરવામાં આવશે.
સેનેટની આ ચૂંટણીમાં નેહલભાઇ શુકલ, શૈલેષભાઇ જાની, રાજભા જાડેજા, ડો.વિજયભાઇ દેસાણી, અશોકસિંહ વાઘેલા, ભરતસિંહ જાડેજા, પ્રદીપભાઇ ડવ અને હરદેવસિંહ જાડેજા સહિત અનેક દિગ્ગજોએ ઝંપલાવ્યું છે. ખરાખરીનો જગં લો–ફેકલ્ટીમાં ખેલાશે. આ ફેકલ્ટીમાં કુલ ૬ ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. યુનિવર્સિટીના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ ૧૧ બેઠકો માટેની આ ચૂંટણીમાં ૩૮ જેટલા ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. ફેકલ્ટીવાઇઝ સ્થિતિ નીચે મુજબ છે. પ્રથમ આંકડા જે તે ફેકલ્ટીના મતદારો સંખ્યા સુચવે છે અને કાૈંસમાં દર્શાવેલ આંકડાઓ જે તે ફેકલ્ટીમાં ઉમેદવારોની સંખ્યા દર્શાવે છે. વિનયન વિધાશાખા ૨૫૭૩ (૫), વિજ્ઞાન વિધાશાખા ૨૧૩૩ (૫), કાયદા વિધાશાખા ૨૧૫૪ (૬), મેડિકલ ૭૨૭ (૩), કોમર્સ ૨૩૦૭ (૪), શિક્ષણ ૨૦૯૨ (૨), ગ્રામ્ય વિધાશાખા ૪૮૮ (૨), બિઝનેસ મેનેજમેન્ટ ૨૨૦ (૩), હોમસાયન્સ ૧૯૫ (૩), હોમિયોપેથ ૪૧૫ (૩) અને આર્કીટેકટ ૮૩ (૨)
રવિવારે સવારે ૧૧ વાગ્યાથી મતદાનની કાર્યવાહી શરૂ થનાર હોવાથી યુનિવર્સિટીના તંત્રવાહકોએ આ અંગેની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. દરેક મતદાન મથકો પર વિડિયોગ્રાફી રાખવામાં આવી છે. સાથોસાથ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે.
|