દેશી દારૂના જંગી જથ્થા સાથે સ્ટેશન પર ૫ શખ્સો ઝડપાયા
અમદાવાદ શહેરમાં ફરી એકવાર લઠાકાંડ થતાં-થતાં રહી ગયો છે. કાલુપુર પોલીસે મોટીમાત્રામાં દેશી દારૂના જથ્થા સાથે પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે. કાલુપુર રેલવે પોલીસે તમામની વિરુધ્ધગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની વિગતવાર માહિતી એવી છે કે કાલુપુર રેલવે પોલીસે અને રેલવે એલ.સી.બીની ટીમે ગઈ કાલે કાલુપુર રેલવે સ્ટેશન પરના ૮થી૧૨ નંબરના પ્લેટફોર્મ પર સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. દરમ્યાનમાં જુદી-જુદીં ટ્રેનમાં મુસાફરી કરતાં શંકાસ્પદ શખ્સોને રોકીને તપાસ કરતાં પાંચ જેટલા શખ્સો દેશી દારૂના જથ્થા સાથે ઝડપાઈ ગયાહતા. જેમાં પ્લેટ ફોર્મ નંબર ૮ પરથી પોલીસે ગોપાલ રામદાસભાઈ વૈરાગીને ૫ લીટર દેશી દારૂના જથ્થા સાથે પકડી પાડ્યો હતો. જયારે પ્લેટ ફોર્મ નંબર ૧૨ ૫૨ તપાસ કરતા ફારૂક ઈમરાન શેખ નામના શખ્સને અઢીલીટર દેશી દારૂ સાથે ઝડપી પાડ્યો હતો. પ્લેટ ફોર્મ નંબર ૧૦ પરથી પોલીસ ટીમે સલીમખાન નાજીરખાન પઠાણ નામના શખ્સને ચાર લીટર દેશી દારૂ સાથે ઝડપી પાડ્યો હતો. આ ત્રણેયની પૂછપરછમાં તેઓ નડીયાદ તરફથી દેશી દારૂ લાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ ટીમે સંયુક્ત ઓપરેશન ચાલુ રાખી વધુ બે શખ્સોને દેશી દારૂ સાથે ઝડપી પાડ્યા હતા. જેમાં ગણપત ભીમાભાઈ પટ્ટણી નામના શખ્સને પકડી બે લીટર દેશી દારૂ કબ્જે કર્યો હતો. જયારે મહેશ બચુભાઈ દંતાણી નામના શખ્સને પકડી પાડી બે લીટર દેશી દારૂ કબ્જે કર્યો હતો. પકડાયેલા તમામ શખ્સોએ છેલ્લાં ઘણાં સમયથી દેશી દારૂની હેરાફેરી કરતા હોવાની કબુલાત કરી છે. દેશી દારૂનો આ જથ્થો તેઓ નડીયાદથી લાવી અમદાવાદમાં વેચતા હતા. નોંધનીય છે કે અગાઉ નડીયાદમાં બનાવાયેલા દેશી દારૂના કારણે લઠાકાંડ સર્જાયો હતો. પરંતુ પોલીસે નડીયાદથી લવાયેલા દેશી દારૂ સાથે પાંચ શખ્સોને પકડી પાડી અમદાવાદમાં ફરી એકવાર સર્જાનાર લઠાકાંડને રોકી દીધો છે.