ભાવનગરથી યાત્રા પ્રવાસે નિકળેલ સંઘવી–જૈન પરિવારની બસ પર ગત રાત્રે પીપળી નજીક અમદાવાદ ટુકામાર્ગ પર પત્થર મારો કરીને બસ રોકવાનો પ્રયાસ થયો હતો. જો કે ડ્રાઇવરની સમય સુચકતાથી અસામાજીક તત્વોનો પ્રયાસ નાકામ રહ્યો હતો. આ ઉપરાંત અમરેલી ડેપોની એક એસ.ટી. બસ પણ પત્થરમારાનું નિશાન બની હતી. જેમાં ત્રણ મુસાફરોને ઇજાઓ પહોંચી હતી. કોઇ ટોળકી દ્રારા વાહનો પર પત્થરમારો કરી અટકાવી લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરાયો હોવાની આશંકા પ્રબળ બની હતી.
આ અંગેની વિગત એવી છે કે, ભાવનગરથી સંઘવી જૈન પરિવાર બે બસ દ્રારા મહેસાણા પંથકમાં આવેલા કુળદેવી માતાજીના મહોત્સવમાં હાજરી આપી રવિવારની રાત્રે અમદાવાદ થઇ ભાવનગર પરત આવી રહ્યા હતા ત્યારે પીપળી હાઇ–વે પર પીપળી ગામથી લગભગ ૧૦ થી ૧પ કી.મી.ના અંતરે બન્ને ખાનગી ટ્રાવેલ્સની બસ પર બાવળની કાટમાંથી ભેદી પત્થરમારો થયો હતો. જેમાં એક બસના કાચ પર પત્થર વાગતા કાચનો કચ્ચરધાણ બોલી ગયો હતો. જો કે સદનશીબે કોઇ ઇજા કે જાનહાની થઇ ન હતી. જો કે ડ્રાઇવરે સમય સુચકતા ન વાપરી હોત તો કોઇ અનિઇચ્છનીય બનાવ બન્યો હોત તેવી આશંકા જાણકારોએ વ્યકત કરી હતી.
ભાવનગરની ખાનગી બસ ઉપરાંત અસામાજીક તત્વોએ આ રૂટ પરથી પસાર થઇ રહેલી વડોદરા–ધારી રૂટની એસ.ટી. બસ પર નિશાન સાધ્યુ હતું. જેમાં એક સાથે બસના ત્રણ કાચનો કચ્ચધાણ બોલાવી દેવાતા બસમાં બેઠેલા ત્રણ મુસાફરોને ઇજાઓ પહોંચી હતી. જાણવા મળ્યા મુજબ પીપળી નજીક આ પ્રકારના બનાવો ઘણીવાર બનવા પામે છે. જેમાં પત્થર મારો કરીને વાહનો અટકાવી આ શખ્સોનો લૂંટનો પ્રયાસ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
|