આગામી બે દિવસ બાદ ૧૦મીએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ભાવનગરના પાલિતાણા ખાતે આવી રહ્યાં છે ત્યારે શહેર ભાજપ સંગઠન સામે કાર્યકરો આગ ઓકી રહ્યાં છે અને મુખ્યમંત્રીના આગમન પહેલા જ અસંતુષ્ટ્ર હોદ્દેદારો અને કાર્યકરો સામુહિક રીતે રાજીનામા આપે તેવા સંકેતો મળ્યા છે. જે રીતે શહેર ભાજપમાં વિરોધ ઉઠી રહ્યો છે તે જોતા પરિસ્થિતિને ડામવી અઘરી બની છે. ગઈ રાત્રે ફરી એકવાર અસંતુષ્ટ્ર ભાજપના કાર્યકરોની મળેલી બેઠકમાં ગણતરીના કલાકોમાં જ રાજીનામાઓ પડે તેવી વ્યુહરચના ગોઠવવામાં આવી છે.
ભાવનગર ખાતે સદભાવના મિશન યોજાઈ છે ત્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને રૂબરૂ મળીને મોમેન્ટો આપવાની તક ન મળતા કેટલાક વોર્ડ પ્રમુખો રોષે ભરાયા હતા. તેમને મનાવી લેવાને બદલે કેટલાક નેતાઓએ તેમને ઉશ્કેરીને પ્રશ્ન વધુ પેચીદો બનાવી દીધો હતો અને પાછળથી ઉચ્ચકક્ષાએ ખોટી રજુઆતો કરીને આ વોર્ડ પ્રમુખો પૈકી ચારને ઘરે બેસાડી દેવામાં આવતા અન્ય વોર્ડ પ્રમુખો અને કાર્યકરોમાં રોષ વ્યાપી ગયો છે. ભાજપ શહેર સંગઠનના પ્રમુખ સહિતના હોદ્દેદારો સામે અનેક કાર્યકરો ખુલ્લેઆમ આગ ઓકી રહ્યાં છે ત્યારે બે દિવસ બાદ મુખ્યમંત્રી પાલિતાણા આવી રહ્યાં છે તેને લઈને અસંતુષ્ટ ભાજપના જ કાર્યકરો સામુહિક રીતે રાજીનામા ધરીને પોતાની લાગણીનો પડઘો પાડશે તેમ સુત્રોમાંથી જાણવા મળ્યું છે. ભાજપ આ સ્ફોટક પરિસ્થિતિને લઈને ચિંતિત હોવાને બદલે હળવાશથી લઈ રહ્યું છે. પરંતુ તે તેમને મુશ્કેલીમાં મુકી દેશે તેમ કાર્યકરોએ રોષ સાથે જણાવ્યું હતું |