માંડવીના શીતલા માતાજીના મંદિર પાસેના માર્ગપર રીક્ષા સાથે ટ્રક ધડાકાભેર અથડાતા આ બનાવમાં ત્રણ મુસ્લિમ યુવાનોના કમકમાટી ભર્યા મોત નિપજયા હતા. જયારે અન્ય એક વ્યકિતને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા રાજકોટ લઈ જવાયો હતો જયાં તેનુ મોત નિપજયું હતું
રવીવારે બપોરે ૪ વાગ્યાના અરસામાં માંડવીથી નલીયા તરફ જઈ રહેલી રીક્ષા જયારે માંડવી શહેરના શિતલા માતાજીના મંદિર પાસેના માર્ગ પર પહોંચી હતી ત્યારે સામેથી આવતી ટ્રક ધડાકાભેર અથડાતા આ બનાવમાં રીક્ષાનો બુકડો બોલી ગયો હતો. રીક્ષામાં સવાર માંડવીના મચ્છીપીઠ વિસ્તારમાં રહેતા ર૦ વર્ષીય કાદર અબ્બાસ મમણ, વોરા ફળીયામાં રહેતા મોશીમ જુસબ સંઘાર (ઉ.વ.૧૭) અને સુરેન્દ્ર નગર જિલ્લાના ધાંગધ્રાના રજબ મુબારક જુણેજા (ઉ.વ.૧૭)ના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજયા હતા જયારે રીક્ષામાં સવાર માંડવીના જુબેર ડાડા ચાકીને ઈજાઓ પહોંચતા તેઓને પ્રથમ માંડવીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ વધુ સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો જયાં જુબેરનું સારવાર દરમિયાન મોત આંબી ગયું હતું.