આઇપીએલના સ્પોટ ફિક્સિગં કૌભાંડની તપાસનો રેલો છે ક ગુજરાતના આંગડિયાઓ સુધી પહોંચ્યો છે. ગાંધીનગરના બુકી જીજુ જનાર્દન, શ્રીસંથ અને બુકીઓની સાંઠગાંઠ ખુલ્લી પડતા પોલીસે આ મામલામાં આંગડિયા પેઢીઓની ભૂમિકા પણ તપાસના દાયરામાં સામેલ કરી છે. સૂત્રો ત્યાં સુધી કહે છે કે શ્રીસંથ દ્વારા કરવામાં આવેલ નાણાકિય વ્યવહારો પર જીજુનું સંપૂર્ણ નિયંત્રણ હતું.
જીજુના ગુજરાત બહારના જ નહીં પરંતુ ગુજરાતના બુકીઓ સાથે પણ સંપર્કો હતા. શ્રીસંથ અને જીજુ વચ્ચે દોસ્તીના સંબંધો હતા અને શ્રીસંથ આર્થિક વ્યવહારોમાં જીજુ પર સંપૂર્ણ વિશ્ર્વાસ રાખતો હતો. તે પોતે ડીલ ફિકસ કરતો હતો અને તે થઇ ગયા બાદ શ્રીસંતને જાણ કરતો હતો.
દિલ્હી પોલીસને જાણવા મળ્યું છે કે ગુજરાતનો પકડાયેલ બુકી મનન ભટ્ટ અમદાવાદ અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં વ્યવહારો કરવા માટે આંગડિયા પેઢીઓનો ઉપયોગ કરતો હતો. બેટિંગમાં રકમ લાખોમાં થવા જતી હતી અને આ વ્યવહાર બેંક મારફત થાય તો સૌનું ધ્યાન ખેંચાય તેથી આંગડિયાનો ઉપયોગ થતો હતો જે ગેરકાનૂની વ્યવહારો માટે હાથવગું સાધન ગણાય છે. આથી કેટલીક આંગડિયા પેઢીઓ તપાસના દાયરામાં આવી ગઇ છે અને ધરપકડોની શકયતા છે તેમ પોલીસની નજીકના સૂત્રોએ જણાવ્યું હતું. આ તપાસમાં આવકવેરા વિભાગ પણ ઝંપલાવી શકે છે કારણ કે તેમાં ગેરકાનૂની નાણાકિય વ્યવહારો થયા છે.