વૈશ્ર્વિક બજારમાં સોનાનાં ભાવમાં ઘટાડો આવી રહ્યો હોવાથી સરકારે સોનાની આયાત પરની ટેરિફ વેલ્યુ જે અગાઉ 10 ગ્રામદીઠ 466 ડોલર હતી તે ઘટાડીને 440 ડોલર કરી છે. જ્યારે ચાંદીની આયાત પરની ટેરિફ વેલ્યુ કિલોદીઠ 761 ડોલરની સપાટીએ યથાવત્ રાખી હતી. જોકે, આ સંદર્ભનું નોટિફિકેશન સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઈઝ એન્ડ કસ્ટમ્સ દ્વારા બહાર પાડવમાં આવ્યું હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું. જોકે, વિવિધ વનસ્પતિ તેલ, બ્રાસ સ્ક્રેપ અને ખસખસ જેવી ચીજોની ટેરિફ વેલ્યુ યથાવત્ રાખવામાં આવી હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે વૈશ્ર્વિક બજારમાં ખાસ કરીને સોનાના ભાવ ઘટી આવવાને કારણે સોનાની ટેરિફ વેલ્યુમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અત્રે નોંધનીય બાબત એ છે કે સિંગાપોર ખાતે સોના અને ચાંદીનાં ઔંસદીઠ ભાવ ઘટીને અનુક્રમે 1385 ડોલર અને 23 ડોલરની સપાટીની અંદર ઉતરી ગયા છે.વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના અહેવાલ અનુસાર દેશમાં જાન્યુઆરીથી માર્ચ દરમિયાન દેશમાં 215 ટન સોનાની આયાત થઈ છે.