વર્ષ ૨૦૦૨માં થયેલા બેસ્ટ બેકરી કાંડના સંબંધમાં નવ અપરાધીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર મુંબઈ હાઇકોર્ટમાં પાંચમી માર્ચથી દરરોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. બેસ્ટ બેકરી કેસમાં આ નવ અપરાધીઓને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી. પહેલી માર્ચ ૨૦૦૨ના દિવસે ગુજરાતના વડોદરા શહેરમાં હનુમાન ટેકરી ખાતે બેસ્ટ બેકરીમાં આશરો લઇ રહેલા ૧૪ લોકોને તોફાની ટોળાએ ગોધરા કાંડ બાદ ભડકેલી હિંસા દરમિયાન મોતને ઘાટ ઉતારી દીધા હતા. મુંબઈમાં ખાસ અદાલત દ્વારા ૧૭ આરોપીઓ પૈકી નવને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી. તમામ અપરાધીઓએ ત્યારબાદ વર્ષ ૨૦૦૬ના ખાસ અદાલતના આદેશને પડકાર ફેંકીને હાઇકોર્ટમાં અપીલ કરી હતી. આ કેસમાં નવા વળાંક રૂપે મુખ્ય સાક્ષી યાસ્મિન શેખે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરીને દાવો કર્યો હતો કે, સામાજિક કાર્યકર તીસ્તા દ્વારા આરોપીઓ સામે પુરાવા આપવા ફરજ પાડવામાં આવી હતી. યાસ્મિને આક્ષેપ કર્યો હતો કે, જો તે ખોટી જુબાની આપશે તો તેને નાણાં આપવામાં આવશે તેવું વચન તીસ્તાએ આપ્યું હતું. કેસમાં આરોપી લોકોની ધરપકડ થાય તે હેતુસર મામલાન આગળ વધારવામાં આવ્યો હતો. યાસ્મિને તેના પુરાવાની ફેર નોંધણી કરવા હાઈકોર્ટમાં અપલી કરી હતી. જોકે, કોર્ટે કહ્યું હતું કે, તે અપરાધીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર સૌથી પહેલા નિર્ણય કરશે. ત્યારબાદ સુનાવણી કરવામાં આવશે. કોર્ટે કહ્યું છે કે, જો અમે ટ્રાયલ કોર્ટના ચુકાદા સાથે સહમત થઇશું તો યાસ્મિનની અરજી પર સુનાવણી કરીશું. જો ટ્રાયલ કોર્ટના ચુકાદા સાથે સહમત થઇશું નહીં તો યાસ્મિનની અરજીની સુનાવણી થશે નહીં. જસ્ટીસ વીએમ કનાડે અને પીડી કોડેની બનેલી ડિવીઝન બેંચે પાંચમી માર્ચથી સુનાવણી હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. બેસ્ટ બેકરી કેસના લીધે દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો.