મજબૂત લોકપાલની માંગણીને લઇને સામાજિક કાર્યકર અને ગાંધીવાદી નેતા અણ્ણા હઝારે આજે સવારે ત્રણ દિવસના અનશન ઉપર ઉતરી ગયા હતા. લોકપાલના સરકારી બિલનો વિરોધી કરીને ત્રણ દિવસના અનશન પર બેસી ગયેલા અણ્ણાએ જાહેરાત કરી હતી કે, ભ્રષ્ટાચાર સામે ખેલ જંગ અંતિમ શ્વાસ સુધી લડવામાં આવશે. અણ્ણાએ આક્ષેપ કર્યો હતો કે, સરકાર લોકપાલના મુદ્દે લોકો સાથે વિશ્વાસઘાત કરી રહી છે. અણ્ણાએ એમ પણ કહ્યું હતું કે, જે લોકોને કાયદા બનાવવાનો અધિકાર છે તે લોકોને આ બાબતની પણ માહિતી હોવી જોઇએ કે, તેમને લોકોની સેવા માટે ચૂંટી કાઢવામાં આવ્યાં છે. અણ્ણાએ એમ પણ કહ્યું હતું કે, તેઓ એ પાંચ રાજયોમાં પણ જશે જયાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. સરકારને બોધપાઠ ભણાવવા તેઓ લોકોને અપીલ કરશે. અણ્ણા હઝારેએ રાઇટ ટુ રીજેક્ટને અમલી બનાવવાની પણ માંગ કરી હતી અને કહ્યું હતું કે, આનાથી રાજકારણમાં અપરાધી પ્રતિષ્ઠા ધરાવનાર લોકોને આવતા રોકી શકાશે. અણ્ણાએ ત્રણ દિવસના અનશન બાદ ૩૦મી ડિસેમ્બરથી જેલભરોની જાહેરાત પણ કરી છે. મંગળવારે સેંકડો લોકો વચ્ચે આંદોલનની શરૂઆત થયા બાદ બપોર બાદ હજારો લોકો તેમાં સામેલ થયા હતા. આ માંગને લઇને તેઓ આ વર્ષે ત્રીજી વખત અનશન કરી રહ્યાં છે. એપ્રિલ બાદ ઓગસ્ટ મહિનામાં અણ્ણાની અનશન આંધીથી સરકાર હચમચી ઉઠી છે. અગાઉ લોકપાલ માટે સંસદમાં ચર્ચા વચ્ચે અણ્ણાના ત્રણ દિવસની ભૂખ હડતાળ શરૂ થઇ હતી. મજબૂત લોકપાલને લઇને અણ્ણા હઝારે સરકાર ઉપર દબાણ વધારી રહ્યાં છે. અનશનની શરૂઆત કરતાં પહેલા અણ્ણા અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મુંબઈ પહોચી ગયા હતા. ભૂખ હડતાળના પ્રથમ દિવસ દરમિયાન સ્ટજ ઉપર જ તબીબોએ અણ્ણા હઝારેની તબિયતની ચકાસણી કરી હતી. મહાત્મા ગાંધીથી પ્રેરણા લઇને અણ્ણાએ ભ્રષ્ટાચાર સામે લડતની શરૂઆત કરી હતી. ઓગસ્ટ મહિનામાં પણ અણ્ણા હઝારેએ ઓગસ્ટ ક્રાંતિકારી તરીકે અનશન કરીને દેશભરમાં નવો ઉત્સાહ જગાવ્યો હતો. અણ્ણાનું કહેવું છે કે, તેઓ બીજી સ્વતંત્રતા સંગ્રામની લડાઇ લડી રહ્યાં છે.
અનશન ઉપર ઉતરતા પહેલા ખુલ્લી ટ્રકમાં બાઈક રેલી સાથે અણ્ણા હઝારે મરદા મેદાન માટે રવાના થયા હતા. બાઈક રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અનશન શરૂ કરતા પહેલા અણ્ણા હઝારે જૂહુ ચોપાટી પહોંચ્યા હતા જયાં ગાંધીજીની પ્રતિમા ઉપર પુષ્પાંજલિ અર્પણ કરી હતી ત્યારબાદ તેઓ મરદા મેદાન માટે રવાના થયા હતા. નિર્ધારિત સમય કરતા મોડેથી તેઓ અનશનના સ્થળ ઉપર પહોંચ્યા હતાં. રસ્તામાં ચોક્કસ લોકોએ અણ્ણા હઝારે મુર્દાબાદના નારા લગાવ્યા હતા. ટીમ અણ્ણાના સભ્ય અરવિંદ કેજરીવાલ અને કિરણ બેદી પણ અનશન ઉપર બેસી ગયા છે. અનશન ત્રણ દિવસ સુધી ચાલનાર છે. મુંબઈના મરદા મેદાન પર સવારે ૧૧ વાગે અનશનની શરૂઆત થવાની હતી પરંતુ નિર્ધારિત સમય કરતા મોડેથી અનશનની શરૂઆત થઇ હતી. અણ્ણા હઝારે બાંદ્રા ગેસ્ટ હાઉસથી જુહુ માટે રવાના થયા હતા. અણ્ણાનો વિરોધ કરનાર લોકોએ કહ્યું હતું કે, અણ્ણા બાબા સાહેબ આંબેડકરના બંધારણની સાથે ચેડા કરવા માગે છે. અણ્ણાની તબિયતમાં અગાઉ ઉલ્લેખનીય સુધારો થયો હતો અને અનશન માટે સ્વસ્થ દેખાયા હતા. અણ્ણાના આંદોલનને ધ્યાનમાં લઈને સઘન સુરક્ષા વ્યવસ્થા મરદા મેદાનની આસપાસ અને અન્ય જગ્યાઓ ઉપર ગોઠવી દેવામાં આવી છે
|