સ્ટીવ જોબ્સે દુનિયાને કનેક્ટ થવાનું શીખવાડ્યું છે ઃ સિંહ
વડાપ્રધાન મનમોહન સિંહે પણ એપલનાં પૂર્વ સીઈઓ સ્ટીવ જોબ્સનાં અવસાન અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે, સ્ટીવ જોબ્સે વિશ્વને ઘણી વસ્તુઓ આપી છે. જોબ્સનાં કારણે વિશ્વનાં દેશો એકબીજાની નજીક આવતાં અને કોમ્યુનિકેટ કરતાં શીખ્યા છે. દૂરસંચારના નવા સાધનોની અભૂતપૂર્વ શોધ કરી છે જેનાં કારણે વિદેશમાં બેઠેલાં લોકો તેમનાં સગા-સંબંધીઓ સાથે વાતચીત કરી શકે છે. સ્ટીવ રહ્યા નથી તેવા સમાચાર સાંભળતાની સાથે જ તેઓ આઘાતમાં ગરકાવ થઈ ગયા હતાં. તેઓ એક મોટા શોધક હતાં, તેમનાં અવસાનથી એક એવી ખાલી જગ્યા પડી છે જે ક્યારેય પણ પૂરાશે નહીં. સ્ટીવ જોબ્સ અંગે વિશ્વનાં અન્ય નેતાઓએ પણ આવી જ પ્રતિક્રિયા આપી છે. દરમિયાન એપલના પ્રશંસકો અને સ્ટીવ જોબ્સનાં ચાહકોએ તેમની પ્રશંસા કરી છે અને તેમનાં અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યુ છે.