વાડીનારઘારમાં ગઇકાલે મુસ્લિમ પરિણીતાને જીવતી સળગાવીને હત્યા નિપજાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સાસરીયાઓ દ્રારા દુ:ખત્રાસ આપીને તેણી પર કેરોસીન છાંટીને જીવતી સળગાવી દેતા વાડીનાર પંથકમાં ભારે અરેરાટી સાથે ચકચાર ફેલાઇ જવા પામી છે. પોલીસે પતિ સહિતના આરોપીઓની શોધખોળ આદરી છે.
વાડીનાર ધાર ખાતે રહેતી રૂકશાનાબેન જુસબસુલેમાન સંઘાર (ઉ.વ.૩૦) નામની પરિણીતાને પતિ, સાસુ, સસરા,નણંદો અને દિયર દ્રારા દુ:ખત્રાસ આપી તેમજ ઘરખર્ચના પૈસાની માંગણી કરતા આરોપીઓએ ઉશ્કેરાઇને તેણી પર કેરોસીન છાંટીને સળગાવી નાખતા દાઝી ગયેલી હાલતમાં સારવાર અર્થે અત્રેની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
જી.જી. હોસ્પિટલના બીછાને જીવન મરણ વચ્ચે ઝોલા ખાતે રૂકશાનાબેન દ્રારા ઉપરોકત બનાવ અંગે જુસબ સુલેમાન સંઘાર, રહેમતબેન સુલેમાન, મોમીનબેન, નફીસાબેન, મહોસીન, આસમીનબેન, સુલેમાનભાઇ (રે. વાડીનારધાર)ની સામે આઇપીસી કલમ–૩૦૭, ૪૯૮ ક, ૧૪૭, ૧૪૮, ૫૦૪ મુજબ ફરિયાદ નોંધાવી હતી.
બીજી તરફ જી.જી. હોસ્પિટલમાં સારવારમાં રહેલી રૂકશાબેને આજે સવારે દમ તોડયો હતો, આથી આ બનાવ હત્યામાં પલટાયો છે. હોસ્પિટલના પોલીસ સ્ટાફે જરૂરી કાગળો કરીને વાડીનાર પોલીસને આ અંગે જાણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર પંથકમાં છેલ્લા થોડા દિવસોથી પરિણીતાઓને ત્રાસ આપીને જીવતી સળગાવવાના પ્રયાસોના બનાવોનું પ્રમાણ વધી રહ્યું છે.
જામનગર, ખંભાળીયા, વાડીનાર, જોડિયા જેવા વિસ્તારોમાં છેલ્લા થોડા દિવસોમાં પરિણિતાઓને જીવતી સળગાવવાના પાંચથી છ બનાવો પોલીસ દફતરે નોંધાયા છે, જેમાં પોલીસે આરોપીઓ પતિની ધરપકડ કરી છે. બે દિવસ પહેલા જ ખંભાળીયામાં મુસ્લીમ પરિણિતાને જીવતી સળગાવીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હજુ આ બનાવની શાહી સુકાઇ નથી ત્યાં ખંભાળીયાની બાજુમાં જ આવેલા વાડીનારધારમાં મુસ્લીમ પરિણિતાને જીવતી સળગાવીને હત્યા નિપજાવવામાં આવી છે.
અગાઉ હોસ્પિટલના બીછાને રહેલી પરિણિતાએ પતિ સહિતના સાત સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે વાડીનાર પોલીસે આરોપીઓની શોધખોળ આદરી છે