વેરાવળના ભાલકા વિસ્તારમાં આવેલા રાધાકૃષ્ણ મંદિરમાં પૂજાપાઠ કરતાં બે વણિક વૃધ્ધા ઉપર ગત રાત્રીના બે લૂંટારૂઓએ ઘરમાં ઘુસીને હુમલો કર્યેા હતો અને એક વૃધ્ધાને મોતને ઘાટ ઉતારી દઇ રૂા.૧.૨૮ લાખના રાધાકૃષ્ણની મૂર્તિના ઘરેણા સહિતની લંૂટ ચલાવતાં સમગ્ર વેરાવળમાં હાહાકાર મચી ગયો છે. આ હુમલામાં ઘવાયેલા અન્ય વૃધ્ધાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સમગ્ર બનાવની મળતી વિગતો મુજબ, વેરાવળના ભાલકા વિસ્તારમાં વિનોદ ગેસ એજન્સીના ગોડાઉન પાછળ આવેલા રાધાકૃષ્ણ મંદિરમાં રહેતાં અને ત્યાં જ સેવા–પૂજા કરતાં ચંદ્રીકાબેન સુનીલભાઇ કઢી (ઉ.વ.૬૭) અને અરૂણાબેન સુનિલભાઇ કઢી (ઉ.વ.૬૫) નામના બે સગા બહેનો ગતરાત્રીના પોતાના ઘરમાં સુતા હતાં ત્યારે મોડીરાત્રીના અગાસીનો દરવાજો ખુલ્લો રહી ગયો હોય ત્યાંથી ૨૦થી ૨૧ વર્ષના બે શખસો અંદર ઘુસ્યા હતાં અને ચંદ્રીકાબેન અને તેમના બહેન અરૂણાબેન ઉપર હુમલો કર્યેા હતો.
ચંદ્રીકાબેને પ્રતિકાર કરતાં તેમને છરીના ઘા ઝીંકી દીધા હતાં અને ગળેટૂંપો દઇ તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતાં તેમજ અરૂણાબેનને પણ છરીના ઘા માર્યા હતાં. ગંભીર રીતે ઘવાયેલા ચંદ્રીકાબેનનું ઘટનાસ્થળે જ મોત નિપયું હતું. લૂંટારૂઓએ રાધાકૃષ્ણ મંદિરમાં રહેલી રાધાકૃષ્ણની મૂર્તિ ઉપરથી સોના–ચાંદીના દાગીના અને રોકડ સહિત રૂા.૧.૨૮ લાખની મત્તા લૂંટી ગયા હતાં. આ બનાવ બાદ ઘાયલ અરૂણાબેન આખી રાત મદદ માટે બુમો પાડતાં રહ્યા છતાં કોઇ મદદે આવ્યું ન હતું અંતે સવારે એક ભાવિક દર્શન કરવા આવતાં તેણે અરૂણાબેનનો અવાજ સાંભળતાં તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડયા હતાં.
વેરાવળના રાધાકૃષ્ણ મંદિરમાં વણિક વૃધ્ધાની હત્યા કરી રૂા.૧.૨૮ લાખની લૂંટ થયાના બનાવથી સમગ્ર વેરાવળમાં હાહાકાર મચી ગયો હતો. બનાવની જાણ થતાં પીઆઇ તેરૈયા, પીએસઆઇ જાડેજા સહિતનો સ્ટાફ તાકિદે ઘટનાસ્થળે દોડી ગયો હતો તેમજ ઇજાગ્રસ્ત અરૂણાબેનની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધ્યો છે. પોલીસને અરૂણાબેને આપેલા વર્ણનમાં હુમલાખોરો આશરે ૨૦થી ૨૧ વર્ષના બે શખસો હતાં જેમાં એક શખસે કાનમાં બુંટી પહેરેલી હતી. ઘટનાસ્થળેથી પોલીસને કાળા રંગનું જાકીટ તેમજ છરી અને બાકસ મળી આવ્યું છે.
વેરાવળ પોલીસે આ બનાવ અંગે ફિંગરપ્રિન્ટ નિષ્ણાતો અને ડોગસ્કવોડની મદદથી તપાસ આગળ ધપાવી છે. મૃતક ચંદ્રીકાબેન અને અરૂણાબેન ઘણા વર્ષેાથી રાધાકૃષ્ણ મંદિરમાં સેવાપૂજા કરતાં હતાં અને ત્યાં જ રહેતાં હતાં. બન્ને બહેનો કુંવારા હતાં. આ હત્યા પાછળ જાણભેદુ હોવાની શંકા સેવાઇ રહી છે જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે
અરૂણાબેન આખી રાત મદદ માટે કણસતા રહ્યા !
વેરાવળના રાધાકૃષ્ણ મંદિરમાં ત્રાટકેલા લૂંટારૂઓએ બન્ને વણિક બહેનો ઉપર હુમલો કર્યા બાદ ચંદ્રીકાબેનનું ઘટનાસ્થળે જ મોત નિપયું હતું યારે ઘાયલ થયેલા અરૂણાબેનને ઇજા પહોંચી હતી. લૂંટારૂઓએ તેમને બાથરૂમમાં પુરી દઈ રૂા.૧.૨૮ લાખના દાગીના લૂંટી નાસી છૂટયા બાદ અરૂણાબેન આખી રાત મદદ માટે બુમો પાડતાં રહ્યા હોવા છતાં આજુબાજુના કોઇપણ લોકો અરૂણાબેનની મદદે આવ્યા ન હતાં અને સવારે યારે એક ભાવીક મંદિરે દર્શન કરવા આવ્યા ત્યારે તેણે અરૂણાબેનનો અવાજ સાંભળતાં તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડયા હતાં
લૂંટમાં જાણભેદુ હોવાની શંકા
રાધાકૃષ્ણ મંદિરમાં થયેલી લૂંટમાં કોઇ જાણભેદૂ હોવાની શંકા મૃતક ચંદ્રીકાબેનના બહેન અરૂણાબેને વ્યકત કરી છે. તેમણે પોલીસને જણાવ્યા મુજબ લૂંટારૂઓ ૨૦થી ૨૧ વર્ષના હતાં જેમાં એક શખસે કાનમાં બુંટી પહેરી હતી. આ લૂંટારૂઓ મંદિરની બાજુમાં જ આવેલી સોસાયટીના રહેવાસી હોવાની શંકા ઘાયલ અરૂણાબેને વ્યકત કરતાં પોલીસે તેમના વર્ણનના આધારે લૂંટારૂઓની શોધખોળ શરૂ કરી છે.