ધોળીધજા ડેમ નજીક ફોલ્ટ સર્જાતા વધારાનું નર્મદા નીર ન મળ્યું
રાજકોટ શહેરની દૈનિક 165 એમએલડી નર્મદા નીરની જરિયાત સામે હાલમાં 150 એમએલડી નર્મદા નીર આપવામાં આવી રહ્યું છે અને તેમાંથી જેમ તેમ કરીને સમગ્ર શહેરને પાણી પુરું પાડવામાં આવી રહ્યું છે. દરમિયાન ઉનાળાના ધોમધખતા તાપમાં પાણીનો વપરાશ વધતા જળ માગ પણ વધી છે છતાં રાજકોટને 165 એમએલડી નર્મદા નીર આપવાનું વચન પૂર્ણ કરવામાં કોઇને કોઇ વિઘ્ન આવી રહ્યા છે. દરમિયાન આજે સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમ નજીક કોઇ ટેકનીકલ ફોલ્ટ સર્જાતા સતત બે કલાક સુધી પમ્પિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું અને તેના લીધે આજે પણ રાજકોટને વધારાનું નર્મદા નીર મળી શકયું નથી. કદાચ આવતીકાલે રાજકોટને વધારાનું નર્મદા નીર મળે તેવી શકયતા છે.
વધુમાં મહાપાલિકાના વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ રાજકોટને ઢાંકીથી રતનપર સુધીની નવી નખાયેલી નર્મદા લાઇનમાંથી વધારાનું 15 એમએલડી પાણી આપવામાં આવનાર હતું પરંતુ ગઇકાલે વાંકાનેરના કેરાળા પાસે કોઇપણ કારણોસર એરવાલ્વ તૂટી જતાં તેના રિપેરિંગમાં પાંચ કલાક જેવો સમય વીતી ગયો હતો. ખરેખર જો આયોજન સમુસુતરું પાર પડયું હોત તો ગઇકાલે મધરાત સુધીમાં રાજકોટને વધારાનું 15 એમએલડી નર્મદા નીર મળી ગયું હોત પરંતુ તે મળી શકયું નથી. જ્યારે આજે રાજકોટને વધારાનું 15 એમએલડી નર્મદા નીર મળી જશે તેવી આશા સૌ કોઇ રાખી રહ્યા હતા ત્યાં સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમ નજીક કોઇ ટેકનિકલ ફોલ્ટ સર્જાતા બે કલાક સુધી પમ્પિંગ બંધ કરી દેવું પડયું હતું જેના લીધે રાજકોટ સુધી નર્મદા નીર પહોંચાડવામાં વધુ એકવખત વિલંબ થયો છે. દરમિયાન આજે બપોરથી ફરી પમ્પિંગ ચાલુ કરવામાં આવ્યું છે પરંતુ આજે રાત્રી સુધીમાં રાજકોટને વધારાનું નર્મદા નીર મળે તેમ નથી પરંતુ કદાચ આવતીકાલ સાંજ સુધીમાં વધારાનું પાણી મળે તેવી શકયતા છે.
વધુમાં મહાપાલિકાના વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ઢાંકીથી રતનપર અને રતનપરથી હડાળા સુધીની નર્મદાની નવી લાઇન કુલ 60 કિ.મી. લંબાઇની લાઇન છે તેમાં રાજકોટને પાણી આપવા પમ્પિંગ શ કરાયા બાદ વાંકાનેર નજીક ગઇકાલે ફોલ્ટ સર્જાયો હતો તેથી પમ્પિંગ બંધ કરવું પડયું હતું અને કાલે નર્મદા નીરનો જથ્થો રાજકોટથી 22 કિ.મી. દૂર રહ્યો હતો. જ્યારે ગતરાત્રીથી ફરી પમ્પિંગ શ કરાયું હતું ત્યાં આજે સવારે ધોળીધજા ડેમ નજીક કોઇ ટેકનિકલ ફોલ્ટ સર્જાતા ફરી બે કલાક પમ્પિંગ બંધ કરી દેવાયું હતું !
જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડો.જૈમન ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, હાલ વધારાનું નર્મદા નીર રાજકોટથી 18 કિ.મી. દૂર છે અને આજે મોડીરાત્રી અથવા તો કાલે સવાર સુધીમાં આવી જશે. તેમણે ઉમેર્યું હતું કે, હાલમાં લાઇન સહિતની મશીનરી તદ્દન નવી જ હોય પૂરી કેપેસિટી સાથે પમ્પિંગ કરવામાં આવતું નથી પરંતુ ઓછા મશીન ચાલુ રાખીને ટ્રાયલ એન્ડ એરરના ધોરણે પમ્પિંગ કરવામાં આવી રહ્યું છે જેથી પાણીનો જથ્થો ધીમી ગતિએ રાજકોટ તરફ આવી રહ્યો છે. મહાપાલિકાના પદાધિકારીઓ આજે સવારથી સતત નર્મદા વિભાગના સભ્ય સચિવ મહેશ સિંઘ, પાણી પુરવઠા બોર્ડના ઇજનેર એન.એચ.પટેલ તેમજ જીડબલ્યુઆઇએલના અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને રાજકોટને વહેલીતકે વધારાનું 15 એમએલડી નર્મદા નીર મળે તે માટે પ્રયાસો કરી રહ્યા હોવાનું ચેરમેને જણાવ્યું હતું.