શહેરની ભાગોળે કુવાડવા જીઆઇડીસીમાં આવેલ તલની ફેકટરીમાં તસ્કરો ત્રાટકયા હતા અને ૨૨ ફટ ઉંચી દીવાલ કુદી તસ્કરો રૂા.૨.૧૬ લાખની કિંમતના તલ ચોરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ ચોરીમાં કોઇ જાણભેદૂ હોવાની શંકાને આધારે કુવાડવા પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ શહેરના ભાગોળે કુવાડવા રોડ પર આવેલ જીઆઇડીસીમાં ફેકટરી ધરાવતા કરણપરામાં રહેતા મહેશભાઇ લમીદાસ રાયઠઠ્ઠાના કારખાનામાં ગતરાત્રીના તસ્કરો ત્રાટકયા હતા. મહેશભાઇની ફેકટરીમાં રાખવામાં આવેલા રૂા.૨.૧૬ લાખની કિંમતના તલના બાચકા તસ્કરો દીવાલ ટપીને આવી ચોરી ગયા હતા.
આ અંગેની જાણ કુવાડવા રોડ પોલીસ મથકમાં કરવામાં આવતા એએસઆઇ અમૃતગીરી સાથે રાઇટર રામદેવસિંહ કુવાડવા રોડ જીઆઇડીસી ખાતે મહેશભાઇની ફેકટરીએ દોડી ગયા હતા અને ફરિયાદ નોંધી હતી.
પ્રાથમિક તપાસમાં ખુલતી વિગતો મુજબ અલગ અલગ પેઢી દ્રારા મહેશભાઇની ફેકટરીમાં તલ સાફ કરવા માટે મોકલવામાં આવતા હોય જે તલની સાફ સફાઇ કર્યા બાદ બાચકામાં ભરી તેને પરત જે તે પેઢીમાં મોકલવામાં આવે છે. મહેશભાઇની ફેકટરીમાં અલગ અલગ પેઢીએ મોકલેલા તલ સાફ સફાઇ કર્યા બાદ દીવાલના ટેકે આ તલના બાચકા ગોઠવવામાં આવ્યા હતા. ૨૨ ફટ ઉંચી દીવાલ ટપી આ તલના બાચકા કોઇ ચોરી ગયું હતું.
આ ચોરીમાં કોઇ જાણભેદુ હોવાની શંકા મહેશભાઇએ દર્શાવી છે. પોલીસે ફરિયાદ નોંધી આ ચોરીના બનાવમાં ડોગ સ્કવોડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદથી તપાસ હાથ ધરી છે. કુવાડવા જીઆઇડીસીમાં બનેલા ચોરીના બનાવથી જીઆઇડીસીના વેપારીઓમાં ભારે રોષ વ્યાપી ગયો હતો અને પોલીસ પેટ્રોલિંગ વધારવા ઉગ્ર માગ કરી હતી.
|