મહાપાલિકાના કવાર્ટર્સમાં સાંઇબાબાની સ્થાપના સામે વિરોધ: કમિશનર દોડી ગયા
કાલાવડ રોડ નજીક સૌરાષ્ટ્ર્ર હાઇસ્કૂલ સામે આવેલી અરવિંદભાઇ મણિયાર આવાસ યોજનાની કોમન જગ્યામાં કવાર્ટર્સમાં રહેતા અમુક ભકતોએ સાંઇબાબાની વિશાળ મૂર્તિની કાયમી ધોરણે સ્થાપના કરી દેતાં કવાર્ટર્સમાં રહેતા અન્ય રહીશોમાં આ અંગે વિરોધ વંટોળ ઉઠયો છે અને આ અંગે મહાપાલિકામાં રજૂઆત કરતાં આજે સવારે મ્યુનિસિપલ કમિશનર અજય ભાદૂ, ટાઉન પ્લાનિંગ ઓફિસર બી.એચ.રૂપાણી અને વોર્ડ નં.૧૦ના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર જે.એસ.વાલંભીયા સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને લતાવાસીઓની રજૂઆત સાંભળી હતી.
વધુમાં આ અંગે મહાપાલિકાના વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ અરવિંદભાઇ મણિયાર કવાર્ટર્સમાં રહેતા અમુક રહીશોએ આ આવાસ યોજનાની કોમન જગ્યામાં સાંઇબાબાની વિશાળ મૂર્તિની સ્થાપના કરી ત્યાં આગળ સવાર–સાંજ ધૂન–ભજન તેમજ ગુરૂવારે વિશેષ કાર્યક્રમોનું આયોજન શરૂ કરતાં આવાસ યોજનામાં રહેતા અન્ય રહીશોમાંથી આ અંગે વિરોધ વંટોળ ઉઠયો હતો અને મહાપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે ધાર્મિક તેમજ અમુક અંશે સંવેદનશીલ એવા આ મુદ્દે રજૂઆત સાંભળવા અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને મૂર્તિની સ્થાપના કરનાર રહીશોને કોમન જગ્યામાંથી મૂર્તિ દૂર કરવા જણાવ્યું હતું. જો કે આજે સાંજ સુધી આ મૂર્તિ દૂર કરવા કોઇ કાર્યવાહી હાથ ધરાઇ નહીં હોવાનું જાણવા મળે છે.