શહેરના પંચનાથ પ્લોટમાં આવેલા સ્ટાર ચેમ્બરમાં આઠમા માળે આવેલી અમૃત સિકયોરિટી નામની શેરબજારની ઓફિસમાં આવકવેરા વિભાગ દ્રારા દરોડા પાડવામાં આવ્યા હતાં. મોડીરાત સુધી સર્ચની કામગીરી કરવામાં આવ્યા બાદ રૂા.૩.૫૮ કરોડનું ડિસ્કલોઝર જાહેર કરવામાં આવ્યું છે.
મળતી વિગતો મુજબ, આવકવેરા વિભાગના રેન્જ–૧ના જોઇન્ટ કમિશનર કૃષ્ણ પ્રભાકર અને તેમની ટીમે ગઇકાલે બપોરબાદ સ્ટાર ચેમ્બરમાં આઠમા માળે આવેલ અમૃત સિકયોરિટીમાં દરોડા પાડયા હતાં. રાજકોટ તેમજ મુંબઇમાં શેરબજારનું નેટવર્ક ધરાવતાં અનિલ અમૃતભાઇ ગાંધી અને તેમના પાર્ટનરોને ત્યાં આવકવેરા વિભાગે તપાસ કરી હતી.મોડી રાત સુધી નાણાકીય વ્યવહારો તેમજ બેન્ક એકાઉન્ટ અંગેની માહિતી અને ચકાસણી કર્યા બાદ રૂા.૩.૫૮ કરોડનું ડિસ્કલોઝર જાહેર કરવામાં આવ્યું છે. શેરબજારના ધંધાર્થી અનિલભાઇ ગાંધીને ત્યાં દરોડા પડયાની જાણ થતાં શેરબજારના ધંધાર્થીઓમાં સોંપો પડી ગયો હતો.