રાજકોટની ભાગોળે શાપર–વેરાવળ ઔધોગિક વસાહતમાં આવેલ એન્ડોક ફાર્મા નામની ફેકટરીમાંથી મહારાષ્ટ્ર્ર અને હિમાચલ પ્રદેશમાં મોકલવામાં આવેલ ૧૧૦ દવાના ડ્રમમાંથી ૨૩ લાખની કિંમતનો ૨૯૦૦ કિલો પાવડર કાઢી લઇ બારોબાર વેચી નાખવા અંગે ત્રણ ટ્રક ચાલક અને ટ્રાન્સપોર્ટર સહિતના શખસો સામે પોલીસમાં ફરિયાદ નોંધાતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટના નાનામવા રોડ ઉપર આવેલ અર્જુન પાર્કમાં રહેતાં કારખાનેદાર સુરેશ દેવજીભાઇ સોરઠીયાએ કોટડાસાંગાણી પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ટ્રક નં.જીજે૨૩ટીટી–૭૧૭૦, ટ્રક નં.એચઆર૫૫એફ–૯૦૭૭, ટ્રક નં.એચઆર૬૧એ–૩૦૧૭ના ચાલક અને કિલનર તેમજ વી–એકસપ્રેસ ટ્રાન્સપોર્ટ કંપનીના જવાબદાર કર્મચારીઓના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીને ભાગીદારીમાં શાપર–વેરાવળ ખાતે એન્ડોક ફાર્મા નામની દવા બનાવવાની ફેકટરી આવેલ હોય ગત તા.૨૬૧૨ના રોજ વી–એકસપ્રેસ ટ્રાન્સપોર્ટ કંપની મારફત ફરિયાદીએ ૫૦ કિલોનું એક એવા ૧૧૦ દવાના ડ્રમ મહારાષ્ટ્ર્રના ભીવંડી અને હિમાચલના બદી ખાતે મોકલ્યા હતાં. જે માલ ઉપરોકત સ્થળે પહોંચ્યા બાદ દવાના ડ્રમના સીલ તૂટેલા હતાં અને શાપરથી મોકલાવેલ દવાના જથ્થામાં ઘટ્ટ હોવાનું માલુમ પડતાં ફરિયાદી મહારાષ્ટ્ર્ર અને હિમાચલ પ્રદેશમાં જાતે જઇ તપાસ કરતાં બન્ને સ્થળેથી દવાના ડ્રમમાંથી કુલ રૂા.૨૩,૨૯,૬૫૯ની કિંમતનું ૨૯૦૦ કિલો દવાનો પાવડર બારોબાર કાઢી લીધાનું માલૂમ પડતાં આ અંગે અંતે કોટડાસાંગાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ પીએસઆઇ વી.એસ.વણઝારા સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.