જસદણના કમળાપુરમાં એસ.ટી.બસોની અનિયમીતતાથી કંટાળેલા વિધાર્થીઓએ આજે કમળાપુર બસ સ્ટેશનમાં ચક્કાજામ કરી બસોને રોકી દઇ ઉગ્ર રજૂઆતો કરી હતી. કમળાપુરમાં એસટી સમયસર ન આવતી હોય વિધાર્થીઓ પાસે એસ.ટી.બસના પાસ હોવા છતાં મેટાડોર–છકડો રિક્ષામાં આવવું પડે છે આ બાબતે તા.૨૧ના રોજ જસદણ ડેપો મેનેજરને ૭૦ જેટલા વિધાર્થીઓની સહીવાળી અરજી આપી હોવા છતાં કોઇ પ્રકારના પગલા ભરવામાં ન આવતાં આજે સવારે કમળાપુર બસસ્ટેશનમાં ૨૦૦ જેટલા વિધાર્થીઓએ ચક્કાજામ કરી એસ.ટી.બસોને રોકી ધમાચકડી મચાવી દીધી હતી. આ બનાવની જાણ કમળાપુરના સરપચં ધીરૂભાઇને થતાં તેઓ સ્થળ પર પહોંચી ગયા હતાં. આ સમયે ડેપોમેનેજરે ત્રણ દિવસમાં બસ ચાલુ કરવાની ખાતરી આપતાં મામલો થાળે પડયો હતો. ઉપરાંત ત્રણ દિવસમાં બસ ચાલુ કરવામાં નહીં આવે તો ફરી આંદોલન કરવાનું વિધાર્થીઓએ ચીમકી ઉચ્ચારી છે.