અમદાવાદથી ટૂંક સમયમાં શરુ થશે થાઈલેન્ડ, સાઉદી, મલેશિયાની સીધી ફ્લાઈટ

  • March 28, 2024 06:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેકેશનમાં ફરવા જવાનું પ્લાનિંગ કરતા ગુજરાતીઓ માટે સારા સમાચાર : અમદાવાદથી ફ્લાઇટની ફ્રિકવન્સી ગયા વર્ષની સિઝનની સરખામણીએ આ વર્ષે 16% વધી


અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી મિડલઇસ્ટ અને દક્ષિણપૂર્વ એશિયાના દેશોની ડાયરેક્ટ કનેક્ટિવિટી મળવાની છે. આ એપ્રિલ-મેના ઉનાળુ વેકેશનમાં મિડલઇસ્ટ અને દક્ષિણપૂર્વ એશિયાના દેશોમાં ફરવા જવાનું પ્લાનિંગ કરી રહેલા ગુજરાતીઓ માટે સારા સમાચાર છે.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા 31 માર્ચથી 26 ઑક્ટોબર, 2024 સુધીનું ઉનાળુ સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. તેમાં અમદાવાદથી બેંગકોક, કુઆલાલંપુર અને જેદ્દાહ સહિતના આંતરરાષ્ટ્રીય સ્થળોની સીધી ફ્લાઇટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતોના મત મુજબ આ ફ્લાઈટ્સ શરુ થવાથી ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને વધુ વેગ મળશે. હાલ 36 ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટીક સ્થળો સીધા એસવીપીઆઈ એરપોર્ટ સાથે જોડાયેલા છે.


સુત્રોના જણાવ્યા મુજબ “થાઈ એર થાઈલેન્ડના બેંગકોક માટે તેની વિકલી ફ્લાઈટ્સની ફ્રિકવન્સીમાં વધારો કરે તેવી શક્યતા છે. એર ઈન્ડિયા એક્સપ્રેસ પણ બેંગકોક માટે સીધી ફ્લાઈટ શરૂ કરશે. એર એશિયા મલેશિયાના કુઆલાલંપુર માટે સીધી ફ્લાઇટ શરૂ કરે તેવી ધારણા છે જ્યારે અકાસા એર સાઉદી અરેબિયામાં જેદ્દાહ માટે સીધી ફ્લાઇટ શરૂ કરે તેવી શક્યતા છે.” જેદ્દાહની સીધી ફ્લાઇટ મક્કાના હજ યાત્રીઓ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. એસવીપીઆઈ એરપોર્ટ પર દરરોજ 250 એરક્રાફ્ટની અવરજવર રહે છે. એરપોર્ટ પર સંયુક્ત આરબ અમીરાતના દુબઈ, અબુ ધાબી અને શારજાહ, સાઉદી અરેબિયાના જેદ્દાહ, કુવૈત, ઈંગ્લેન્ડના ગેટવિક અને લંડન, થાઈલેન્ડના બેંગકોક, વિયેતનામના હો ચી મિન્હ સિટી, મલેશિયાના કુઆલા લંપુર અને કતારમાં દોહા સાથે કનેક્ટિવિટી ધરાવે છે. સુત્રોના જણાવ્યા મુજબ વિસ્તારા અમદાવાદથી ગોવા અને બેંગલુરુ માટે સીધી ફ્લાઈટ શરૂ કરે તેવી શક્યતા છે જ્યારે ઈન્ડિગો રાજકોટના હિરાસર એરપોર્ટ માટે સીધી ફ્લાઈટ શરૂ કરે તેવી અપેક્ષા છે.

સમર શેડ્યૂલ સાથે અમદાવાદથી ફ્લાઇટની ફ્રિકવન્સી ગયા વર્ષની સિઝનની સરખામણીએ આ વર્ષે 16% વધી છે. સમગ્ર ભારતમાં, એરલાઇન્સ ઉનાળાના સમયપત્રક દરમિયાન કુલ 24,275 સાપ્તાહિક સ્થાનિક ફ્લાઇટ્સનું સંચાલન કરશે, જે એક વર્ષ અગાઉના સમયગાળાની તુલનામાં લગભગ 16% વધારે છે. વીકલી ડિપાર્ચરની સંખ્યા માત્ર 2.30% વધારે છે જ્યારે 30 માર્ચના રોજ સમાપ્ત થતા શિયાળાના ચાલુ સમયપત્રકમાં કેરિયર્સ દ્વારા 23,732 ફ્લાઇટ્સ સંચાલિત કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application