ભાણવડમાં NEET પરીક્ષા રદ થવાના વિરોધમાં તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું
ભાણવડ તાલુકા કોંગ્રેસ દ્વારા તાજેતરમાં લેવાયેલ NEET પરીક્ષાના પેપર લીક અને ત્યારબાદ સમગ્ર પરીક્ષા રદ કરવાના નિર્ણયના વિરોધમાં રાષ્ટ્રપતિને સંબોધતું એક આવેદનપત્ર સ્થાનિક મામલતદારને સુપરત કરવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં કેન્દ્ર સરકારની નિષ્ફળતાનો ગંભીર આક્ષેપ કરી ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, કેન્દ્રની વર્તમાન સરકાર દ્વારા દેશના વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને NEET જેવી મહત્વની પરીક્ષાના પેપર ફૂટી જવાના કૌભાંડ બાદ સમગ્ર પરીક્ષા રદ થવાથી લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે. તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવાનું સપનું જોતા તેજસ્વી વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે.
ભાણવડ તાલુકા કોંગ્રેસે આ મામલે પોતાનો ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરતા જણાવ્યું હતું કે, પેપર લીક થવાની ઘટનાઓએ લાખો વિદ્યાર્થીઓને માનસિક અને આર્થિક રીતે મોટું નુકસાન પહોંચાડ્યું છે. આ સમગ્ર મામલે કેન્દ્ર સરકારની નબળી કામગીરી જવાબદાર હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.
આ આવેદનપત્ર આપતી વેળાએ એડવોકેટ ગિરધર વાઘેલા, રણધીરસિંહ જાડેજા, મુરાદ કોટડીયા, દેવજી નકુમ, કારાભાઈ ચાવડા, મુકેશ વાવણોટીયા, ભરત વાઘેલા સહિતના અનેક આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.