મમ્મી કાલે હું અખબાર અને ટીવીમાં આવીશ... આ શબ્દો છે જીબીએસ જેવી ગંભીર બીમારીની બે મહિના અને સાત દિવસ (67 દિવસ)ની રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સઘન સારવાર બાદ સ્વસ્થ થઈ ઘરે ગયેલા 17 વર્ષીય રોનક નામના કિશોરના કે જેનું બીજા દિવસે સવારના સમયે ઘરે ઓક્સિજન લેવલ ઘટી જતા ફરીથી હોસ્પિટલ પહોંચે પહેલા જ મૃત્યુ નીપજ્યું હતું. આ સમાચાર સાંભળી રોનકની સારવાર કરનાર તબીબ અને તેમની ટીમ, સંભાળ રાખનાર નર્સિંગ કર્મચારીઓ અને જેમનું ડિસ્ચાર્જની સાંજે ઇન્ટરવ્યૂ કર્યું એ આજકાલની ટીમ ગમગીન બન્યા હતા.
દુઃખદ બનાવ વિશે જાણીએ તો કોઠારીયા સોલવન્ટમાં રહેતા અને રિક્ષા હંકારી પરિવારનું ગુજરાન ચલાવતા વિનોદભાઈ ચાવડાના ધો.11માં કરણસિંહજી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા 17 વર્ષીય પુત્ર રોનકને જીબીએસની ગંભીર બીમારી થતા પ્રથમ પ્રાઇવેટ અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં તા.14-2ના રોજ પીએમએસએસવાય બ્લોકના એમઆઇસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો. એ સમયે ઓક્સિજન લેવલ ઝીરો થઇ જતા ક્રિટિકલ સ્થિતિ બની હતી. અને મેડિસિન વિભાગના તબીબોએએ તાકીદે ગળામાં હોલ કરી (ટ્રેચેઓટોમી) સર્જરી કરી સતત 15 દિવસ સુધી રોનકને હાઈ લેવલ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યો હતો.
આ વચ્ચે રિપોર્ટમાં ન્યુમોનિયા હોવાનું પણ સામે આવતા તબીબો માટે પણ એક ચેલેન્જ બની હતી પરંતુ મેડિસિન વિભાગના નિષ્ણાંત તબીબોના ગાઈડન્સ અને ઓબ્ઝર્વેશન હેઠળ સિનિયર-જુનિયર ડોક્ટર્સની ટીમે જટિલ સારવાર-નિદાનથી 16 વર્ષીય રોનકને ક્રિટિકલ સ્થિતિમાંથી બહાર કાઢી લીધો હતો. અને સ્ટેપ બાય સ્ટેપ વેન્ટીલેટર પણ છેલ્લા 15 દિવસથી દૂર કરતા કુદરતી રીતે શ્વાસ લેવાનું શરૂ કર્યું હતું. આમ તબીબોનું સતત મોનીટરીંગ, નર્સીંગ સ્ટાફની કેરથી બે મહિના અને સાત દિવસ બાદ 16 વર્ષીય રોનક સ્વસ્થ બનતા સોમવારની સાંજે ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું. આ સમયે માત્ર પરિવાર જ નહીં પરંતુ સારવાર માટે ખડેપગે રહેલા તબીબો, નર્સિંગ કર્મચારીઓએ ખુશી ખુશી રોનકને વિદાઈ આપી હતી. પરંતુ આ વિદાઈ આખરી બની જશે એ ક્યાંય ખબર હતી !
18મીએ ડોક્ટર્સ ટીમે હોસ્પિટલમાં આખરી જન્મદિન ઉજવ્યો
હોસ્પિટલમાં વ્યક્તિ દાખલ હોય ત્યારે ડોક્ટર્સ અને સ્ટાફ દર્દી અને સ્વજન સાથે સારી રીતે વાત કરી આશ્વાસન આપે તો પણ કેટલુંક દર્દ એમજ ઓછું થઇ જતું હોય છે. સિવિલમાં બે મહિનાથી સારવાર લઈ રહેલા જીબીએસના 17 વર્ષીય દર્દી રોનકનો 30 માર્ચના જન્મ દિવસ હોવાથી યુનિટ હેડ. ડો.દીપમાલા બુધરાણીએ વોર્ડમાં સરપ્રાઈઝ કેક મગાવી હતી અને મેડિસિન વિભાગ એચઓડી ડો.રાહુલ ગંભીર, રેસિડેન્ટ ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફની હાજરીમાં રોનકના 17માં જન્મદિવસની ઉજવણી કરી પારિવારિક માહોલ પૂરો પાડતા રોનક અને તેના માતા-પિતાના આંખમાંથી ખુશીના આસુ સરી પડ્યા હતા. પરંતુ રોનકનો આ જન્મદિવસ ફરી પાછો નહીં આવે એ કોઈને કલ્પના પણ નહતી. જન્મદિવસના ચાર દિવસમાં જ રોનક અનંતની વાટે નીકળી જતા પરિવારની રોનક છીનવાઈ હતી. કદાચ આ તસવીર હોસ્પિટલ ટીમ-પરિવાર માટે યાદ ગાર બની જશે.
રૂ 8 થી 10 લાખની સારવાર નિઃશુલ્ક મળી પણ અમૂલ્ય જીવન ન છીનવાયુ
જીબીએસ જેવા રોગનો શિકાર બનેલા રોનકને સિવિલમાં સઘન સારવારમાં જરૂરી જણાતા રૂ.5 થી 6 હજારના આઈવી આઇજીના ઇન્જેક્સન પાંચ દિવસ સુધી કે જેની કિંમત રૂ.50 થી 60 હજાર થાય છે ઉપરાંત એક પ્લાઝમાં થેરાપીનો ખર્ચ 14000 જેટલો થાય છે એવા સાત દિવસ સુધી પ્લાઝ્મા આપવામાં આવ્યા હતા.તેમજ જરૂરી દવા, અને સચોટ નિદાન માટેના કેટલાક રિપોર્ટ પણ બહાર કરાવાયા હતા. પરિવાર પાસે ટેક્નિકલ કારણોસર પીએમજેએવાય કાર્ડ ન હોવાથી કોઈ મુશ્કેલી અને સારવારમાં વિલંબ ન થાય માટે સુપ્રિટેન્ડેન્ટ ડો.મોનાલી માકડીયાની સૂચનાથી આરએમઓ ડો.એમ.સી.ચાવડા દ્વારા આરકેએસમાંથી શાળા આરોગ્ય અંતર્ગત તમામ ઇન્જેક્શન, દવા સહિતનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. જયારે આ રોગની સારવાર ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવે તો 15 દિવસ વેન્ટિલેટર, આઇસીયુ વોર્ડનો ચાર્જ, મોંઘા ઇન્જેક્સન, મેડિકલની દવાઓ સહીત ગણીએ તો 8 થી 10 લાખ રૂપિયા સુધી થઇ જતો હોઈ છે. ત્યારે સિવિલમાં એક પણ પૈસાના ખર્ચ વગર સારવાર આપવામાં આવી છે. પરંતુ ડિસ્ચાર્જ થયા પછી રોનકનું અમૂલ્ય જીવન કુદરતે છીનવી લીધું હતું.
આ તસ્વીરો હવે સંભરાણું બની ગઈ...
તસવીરમાં બે મહિના અને સાત દિવસની સારવાર બાદ સ્વસ્થ બનતા રોનકને તા.21ના સાંજે એમઆઈસીયુ વોર્ડમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવતા તેની સકસેશ સ્ટોરી માટે આજકાલની ટીમ પહોંચી હતી એ વખતે રોનકના પિતા,મામા તેમજ પીડીયુંના ડોક્ટર્સ, નર્સિંગની ટીમએ રોનકને વચ્ચે વ્હીલ ચેરમાં બેસાડતો ફોટો આજકાલના ફોટોગ્રાફર દ્વારા ક્લિક કરવામાં આવ્યો હતો એ વખતે પુત્ર સ્વસ્થ બની ઘરે જઈ રહ્યો હતો ત્યારે પિતા સહિતના પરિવારના મુખે સ્મિત અને ડોક્ટર્સ-નર્સિંગ સ્ટાફ, સર્વન્ટના મુખે એક દર્દી લાંબી સારવાર બાદ સ્વસ્થ થઇ ઘરે જઈ રહ્યાની સાથે પોતાની તબીબી સારવાર કારગત નિવળી હોવાની ખુશી જોવા છલકાતી દેખાય છે. જયારે બીજા દિવસે રોનકના મૃત્યુના સમાચાર મળતા જ આ ચહેરાઓ શોકમય બન્યા હતા.
ઈશ્વર પાસે છેલ્લી પ્રાર્થના...
બે મહિનાથી હોસ્પિટલમાં રહેલા રોનકનો બર્થ-ડે હોવાથી કેક કટિંગ પહેલા ભગવાનના દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરતા નર્સિંગ સ્ટાફ દ્વારા ટેબલ પર ભગવાનના ફોટા મુકવામાં આવ્યા હતા અને જન્મદિને રોનકએ ઈશ્વર પાસે પોતે જલ્દી સાજો થઇ ઘરે જાય એવી પ્રાર્થના કરી હતી. ઈશ્વરે તેની પ્રાર્થના સાંભળી પણ હશે અને સ્વસ્થ થયા બાદ ઘરે પહોચતાની બીજી સવારે જ ઈશ્વરે તેમના ઘરે બોલાવી લીધો હતો.
આજકાલએ રોનકની ઈચ્છા પુરી કરી
સ્વસ્થ બન્યા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લેતી વખતે આજકાલની ટિમ દ્વારા બાળકનો ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યો હતો અને બીજા દિવસે તારો ફોટો છાપામાં આવશે તેમ કહેતા મોઢા પર હરખ જોવા મળ્યો હતો. ઘરે ગયા બાદ રાત્રે રોનકે તેની માતાને કહ્યું હતું કે મમ્મી કાલે હું છાપામાં ને ટીવીમાં આવીશ... પરંતુ પોતાનો ફોટો અખબારમાં જોવાનું જાણે નસીબ નહીં હોય તેમ સવારે જ શ્વાસની તકલીફ થતા રોનકે ઘરે જ દમ તોડી દીધો હતો. રોનકની ઈચ્છા હતી કે હું છાપામાં આવીશ એ ઈચ્છા તેના મરણ બાદ આજકાલે માનવતાની દ્રષ્ટિએ પુરી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં શરીર સંબંધ બાંધવા અંગેના ગુનામાં આરોપીને ૧૦ વર્ષની સજા
May 06, 2025 10:27 AMખંભાળિયામાં મધ્યરાત્રીના સમયે વાજડી સાથે વરસાદ
May 06, 2025 10:16 AMટી-20 અને વનડેમાં ભારતનો દબદબો યથાવત
May 06, 2025 10:12 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech