ચૂંટણી પછીનો પ્રાથમિક સર્વે: રાજકોટમાં ભાજપ જીતે તો પણ લીડ ઘણી ઘટશે

  • May 08, 2024 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટને દાયકાઓથી ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ વખતની ચૂંટણીમાં ક્ષત્રિય આંદોલન, કોળી અને લેઉવા પટેલ ફેકટર જેવી તમામ બાબતો છતાં જો ભાજપ જીતશે તો લીડમાં મોટો ઘટાડો થશે તેવું પ્રાથમિક તારણમાં રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યા છે.રાજકોટ સંસદીય મતવિસ્તારની તમામ સાતે સાત વિધાનસભાની બેઠકમાં થયેલા મતદાન અને તેની પેટર્ન ને ધ્યાનમાં રાખી રાજકીય વિશ્લેષકો એવા તારણ પર પહોંચ્યા છે કે કોંગ્રેસને રાજકોટ ગ્રામ્ય, જસદણ અને વાંકાનેર વિધાનસભા મત વિસ્તારમાં સારા દેખાવની આશા છે. જ્યારે ભાજપ રાજકોટ શહેરની ત્રણે ત્રણ અને ટંકારાની બેઠક પર વધુ ભરોસો રાખી રહ્યા છે. આ તમામ વિધાનસભા મતવિસ્તારની વિસ્તૃતમાં વાત કરીએ તો જસદણમાં કોળી અને લેઉવા પટેલ મતદારોની સંખ્યા પછી ત્રીજા ક્રમે કાઠી મતદારો આવે છે. કાઠી મતદારો અત્યાર સુધી ભાજપ સાથે રહ્યા છે તે જોતા કોળી અને લેઉવા મતદારો કઈ તરફ વળ્યા છે તે મહત્વનું બની રહેશે.

વાંકાનેર વિધાનસભા મત વિસ્તારમાં ક્ષત્રિય સમાજના મતદારોની સંખ્યા વધારે છે અને તેના ગામડાઓ પણ વધુ છે. આ વિસ્તારમાં 2019 કરતા આ વખતે લીડ ઘટે અને ભાજપ માઇનસમાં પણ આવે તેવી શક્યતા નિરીક્ષકો નિહાળી રહ્યા છે.ટંકારા વિધાનસભા મત વિસ્તારમાં પડધરી તાલુકાના પણ ગામો આવે છે આ બંને તાલુકામાં અને વિધાનસભા મતવિસ્તારમાં કડવા તથા લેઉવા પાટીદાર સમાજના મતદારોની સંખ્યા ઘણી વધારે છે અને તેથી જાગો લેઉવા જાગો પત્રિકાની અસર થાય તો ભાજપ્ની લીડ ઘટીને 15,000 આસપાસ આવી જવાની શક્યતા છે.

68 રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ અને 70 રાજકોટ દક્ષિણ વિધાનસભા મતવિસ્તાર પરંપરાગત રીતે ભાજપ્ની સાથે રહે છે અને આ વખતે પણ ભાજપ પોતાની જીત માટે શહેરી મતદારો પર વધુ મદાર રાખે છે.71 રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારમાં ક્ષત્રિય, લેઉવા પટેલ મતદારોની સંખ્યા વધુ હોવાથી આ વિધાનસભા મત વિસ્તારમાં જો જ્ઞાતિવાદની અસર થઈ હશે તો ભાજપ્ને નુકસાન થઈ શકે છે. રાજકોટના વોર્ડ નંબર 11,12 અને 18 માં લેઉવા પટેલ મતદારોની સંખ્યા વધારે છે. કડવા પટેલો પણ આ વિસ્તારમાં વધુ છે કોટડા સાંગાણી વિસ્તારમાં પણ લેઉવા પટેલ મતદારો વધુ છે. આ તમામ વિસ્તારો અને જ્ઞાતિના મતદારો શું કરે છે તેના પર ઘણું બધું નિર્ભર છે.
રાજકોટ શહેરની વાત કરતા ભાજપ્ના એક આગેવાને જણાવ્યું હતું કે ઉનાળાની કાળજાળ ગરમી, બહારના ઉમેદવાર, નારાજગી સહિતના અનેક મુદ્દે મતદાનમાં અસર થઈ છે કે કેમ તેનો જવાબ પરિણામ પછી મળી જશે પરંતુ આ વખતે ભલે ઓછું મતદાન થયું પરંતુ જેટલું મતદાન થયું છે તેમાં મોટાભાગે મતદારો સ્વયંભૂ રીતે બહાર નીકળ્યા હતા.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application