પાકિસ્તાન પર એરસ્ટ્રાઈકનું નામ ‘ઓપરેશન સિંદૂર’ નામ કોણે આપ્યું, જાણો આ નામ રાખવા પાછળનું કારણ

  • May 07, 2025 09:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જ્યારે આતંકવાદીઓએ પહેલગામમાં હુમલો કર્યો, ત્યારે તેમણે પસંદગીપૂર્વક હિન્દુઓની હત્યા કરી. આમાં ઘણી સ્ત્રીઓને વિધવા બનાવવામાં આવી. એક નવપરિણીત મહિલાના પતિને તેની સામે જ ગોળી મારીને હત્યા કરવામાં આવી. આતંકવાદીઓએ મહિલાને કહ્યું કે, જઈને મોદીને આ વાત કહે. આ હુમલાને લઈને સમગ્ર દેશમાં ગુસ્સાનો માહોલ હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યવાહી કરવાની વાત કરી હતી. 


તેમણે કહ્યું હતું કે આતંકવાદીઓના આકાઓને યોગ્ય જવાબ આપવામાં આવશે. ગત રાત્રે જ્યારે પાકિસ્તાનમાં નવ સ્થળો પર હુમલા કરવામાં આવ્યા ત્યારે તેને 'ઓપરેશન સિંદૂર' નામ આપવામાં આવ્યું. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, પીએમ મોદીએ પોતે આ ઓપરેશનનું નામ 'સિંદૂર' રાખ્યું છે.


આતંકવાદીઓએ પહેલગામમાં લોકોને તેમના ધર્મ વિશે પૂછ્યા પછી મારી નાખ્યા. સિંદૂર હિન્દુ ધર્મ સાથે પણ સંકળાયેલું છે. આતંકવાદીઓએ મહિલાઓના સિંદૂરનો નાશ કર્યો હતો, આથી આ ઓપરેશનનું નામ સિંદૂર રાખવામાં આવ્યું.


પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા સંતોષ જગદાલેના પત્ની પ્રગતિ જગદાલેએ ઓપરેશન સિંદૂર વિશે કહ્યું, "હું આ માટે આભારી છું કારણ કે પીએમ મોદીએ પાકિસ્તાનને બતાવી દીધું છે કે આપણે શાંતિથી બેસવાના નથી." તે જ સમયે, આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા કૌસ્તુભ ગણબોટેના પત્ની સંગીતા ગણબોટેએ ઓપરેશન સિંદૂર વિશે કહ્યું, "તેઓએ જે કાર્યવાહી કરી છે તે એકદમ સાચી છે અને ઓપરેશનને સિંદૂર નામ આપીને, તેમણે મહિલાઓને પણ સન્માન આપ્યું છે."


પહેલગામ હુમલામાં કાનપુરના 31 વર્ષીય ઉદ્યોગપતિ શુભમ દ્વિવેદીએ પણ જીવ ગુમાવ્યો હતો. તેમના પત્ની ઐષ્ણ્યા દ્વિવેદી, જેમણે લગ્નના બે મહિના પણ પૂર્ણ કર્યા ન હતા, તેમણે તે ભયાનક દિવસને યાદ કરીને પોતાની પીડા શબ્દોમાં વ્યક્ત કરી. નવી આશા અને ગર્વ સાથે, ઐશ્ન્યાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે.


ઐશ્ન્યાએ ભાવુક નિવેદનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતા કહ્યું, "મારા પતિના મૃત્યુનો બદલો લેવા બદલ હું વડાપ્રધાન મોદીનો આભાર માનવા માંગુ છું. મારા આખા પરિવારને તેમનામાં વિશ્વાસ હતો, અને તેમણે (પાકિસ્તાનને) જે રીતે જવાબ આપ્યો, તેણે અમારા વિશ્વાસને જીવંત રાખ્યો. આ મારા પતિને સાચી શ્રદ્ધાંજલિ છે. મારા પતિ જ્યાં પણ હશે, તે આજે શાંતિથી રહેશે."



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application