રોહિત વેમુલા દલિત ન હતો: પોલીસે ક્લોઝર રિપોર્ટમાં કહ્યું

  • May 04, 2024 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થી રોહિત વેમુલાએ જાન્યુઆરી 2016માં આત્મહત્યા કરી લીધી હતી. જેના કારણે દેશભરમાં દેખાવો થયા હતા. તેના મૃત્યુ કેસમાં તેલંગાણા પોલીસે સ્થાનિક કોર્ટ સમક્ષ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો. આ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે રોહિત વેમુલા દલિત ન હતો અને પોતાની અસલી ઓળખ જાહેર થવાના ડરથી તેણે આત્મહત્યા કરી હતી.

આ કેસની તપાસ કરનારી સાયબરાબાદ પોલીસે કોર્ટને જણાવ્યું કે રોહિત વેમુલા અનુસૂચિત જાતિનો નથી અને તે તેનાથી વાકેફ હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મૃતક ઘણી સમસ્યાઓથી પરેશાન હતો, જેના કારણે તેણે આત્મહત્યા કરી હોય શકે છે.

કોર્ટમાં રજૂ કરાયેલા તેના અહેવાલમાં પોલીસે જણાવ્યું હતું કે રોહિત વેમુલા જાણતો હતો કે તે અનુસૂચિત જાતિનો નથી અને તેની માતાએ તેને એસસી પ્રમાણપત્ર અપાવ્યું હતું. તે આનાથી ડરતો હોઈ શકે છે, કારણ કે જો તે ખુલ્લું પડી જાય તો તે તેની શૈક્ષણિક ડિગ્રી ગુમાવી શકે છે અને કાર્યવાહીનો સામનો કરવાની ફરજ પડી શકે છે.

અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે શ્રેષ્ઠ પ્રયાસો છતાં આરોપીની ક્રિયાઓએ મૃતકને આત્મહત્યા કરવા માટે પ્રેયર્િ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. આરોપીઓમાં હૈદરાબાદ યુનિવર્સિટીના તત્કાલીન વાઇસ ચાન્સેલર અપ્પા રાવ અને હરિયાણાના આઉટગોઇંગ ગવર્નર બંડારુ દત્તાત્રેયનો પણ સમાવેશ થાય છે.


શું છે સમગ્ર મામલો?
રોહિત સહિત પાંચ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. 17 જાન્યુઆરી 2016 ના રોજ, રોહિત વેમુલાએ હૈદરાબાદ યુનિવર્સિટીમાં તેના હોસ્ટેલ રૂમમાં આત્મહત્યા કરી. આ આત્મહત્યા બાદ દેશભરની યુનિવર્સિટીઓમાં દેખાવો શરૂ થઈ ગયા હતા. રોહિત વેમુલા આંબેડકર સ્ટુડન્ટ્સ એસોસિએશનનો સભ્ય હતો. તે હૈદરાબાદ યુનિવર્સિટીના એ પાંચ વિદ્યાર્થીઓમાંનો એક હતો જેમને હોસ્ટેલની બહાર ફેંકી દેવામાં આવ્યા હતા. રોહિત સહિત આ પાંચ વિદ્યાર્થીઓ પર 2015માં એબીવીપીના સભ્ય પર હુમલો કરવાનો આરોપ હતો. યુનિવર્સિટીએ તેની પ્રારંભિક તપાસમાં પાંચ વિદ્યાર્થીઓને ક્લીનચીટ આપી હતી, પરંતુ બાદમાં પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો. રોહિત વેમુલાની આત્મહત્યાના મામલામાં ઘણું રાજકારણ થયું હતું. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ મામલે સંસદમાં કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી અને તત્કાલીન કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીની પણ ટીકા કરી હતી.


પૂર્વ સાંસદ અને પૂર્વ વીસીને ક્લિનચિટ

પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલા ક્લોઝર રિપોર્ટમાં સિકંદરાબાદના પૂર્વ ભાજપ્ના સાંસદ અને હરિયાણાના વર્તમાન રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય, વિધાન પરિષદના સભ્ય એન રામચંદ્ર રાવ, ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર અપ્પા રાવ, એબીવીપીના નેતાઓ સહિત અનેક અગ્રણી રાજકીય વ્યક્તિઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application