અજમેરની હોટેલમાં ભાવનગરના દાઝેલા દંપતિ પૈકી પત્નીનું મોત

  • May 08, 2025 04:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજસ્થાનના અજમેરની હોટલમાં એક સપ્તાહ પૂર્વે લાગેલી આગમાં દાઝેલું ભાવનગરનું દંપતિ ખંડિત થયું છે. સતત સાત દિવસની લાંબી સારવાર બાદ પરિણીતાએ હોસ્પિટલના બિછાને દમ તોડ્યો હતો. જયારે, તેમના પતિની હાલત પણ નાજૂક હોવાનું જાણવા મળ્યું હતું.
શહેરના દીપક ચોક સ્વીટ હોમ સોસાયટીમાં રહેતા અને મેન્સવેરની દુકાનમાં નોકરી કરતાં ધવલભાઈ સુરેશભાઈ બારૈયા ગત ૨૯મી એપ્રિલે તેમના પત્ની અલ્પાબેનને લઈ રાજસ્થાન ગયા હતા.દંપતિ તા.૩૦ના રોજ અજમેર પહોંચ્યા બાદ અજમેરના ડિગ્ગી બજારમાં આવેલી નાઝ હોટેલમાં રાત્રિ રોકાણ કર્યું હતું. જ્યાં ૧લી મેના રોજ સવારના સમયે શોક સર્કિટના કારણે હોટેલમાં આગ લાગતાં બે પુરૂષ, એક મહિલા અને એક બાળક સહિત ચાર લોકોના  મોત થયા હતા. જયારે, ભાવનગરના ધવલભાઈ અને અલ્પાબેન સહિત પાંચ જેટલાં લોકો ગંભીર રીતે દાઝી જતાં તમામને સારવારાર્થે અજમેરની જવાહર હોસ્પિટલમાં  ખસેડવામાં આવ્યા હતા.
જયાં ગંભીર રીતે દાઝેલાં અલ્પાબેનનું સારવારમાં મોત થતા આગની  ઘટનામાં મૃતાંક વધીને પાંચ થયો હતો. મૃતકના દિયર વિજયભાઈએ જણાવ્યું કે, ગત ગુરૂવારે બનેલી આગની ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલાં પોતાના ભાભી અલ્પાબેન છેલ્લાં એક સપ્તાહથી સારવારમાં હતા. ગંભીર રીતે દાઝી જવાના કારણે તેમનું મોત થયું હતું. અલ્પાબેનના મૃતદેહને ભાવનગર લાવી અંતિમ વિધિ કરાઈ હતી.જયારે, ધવલભાઈની સ્થિતિ પણ નાજૂક હોવાનું તેમણે જણાવ્યું હતું. અલ્પાબેનના મોતના પગલે બારૈયા પરિવારમાં આઘાત છવાઈ ગયો હતો.  બનાવને લઈ સ્થાનિક પોલીસે પણ જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application