ધારીમાં પાકિસ્તાની કનેક્શન ધરાવતા મૌલાનાની મદરેસા પર બુલડોઝર ચાલ્યું, ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ઓપરેશન પાર પાડવામાં આવ્યું

  • May 13, 2025 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમરેલીનાં ધારીમાં પાકિસ્તાની કનેક્શન ધરાવતા મૌલાનાની સરકારી જમીન પર ઊભુ કરી દેવાયેલ ગેરકાયદેસર મદરેસા પર વહીવટીતંત્ર દ્વારા અને પોલીસની હાજરીમાં બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. આજે ડિમોલિશનની કામગીરીને લઈ ધારી શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું છે.


અમરેલીનાં ધારીમાં હીમખડીપરામાં ગેરકાયદે મદરેસા પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. આરોપી મૌલાના મોહમદ ફઝલ શેખ રહેતો હતો તે મદ્રેસા પર બુલડોઝર ચાલ્યું છે. થોડા દિવસ પહેલા પોલીસે મૌલાનાની ધરપકડ કરી હતી. મૌલાનાના મોબાઈલમાં વાંધાજનક ચેટ મળી આવી હતી. વોટ્સએપમાં પાકિસ્તાનના કેટલાક ગ્રુપ મળી આવ્યા હતા, મૌલાનાની શંકાસ્પદ હિલચાલને લઈ સઘન તપાસ કરાઈ હતી. અમરેલી SP અને કલેકટરની ટીમો દ્વારા અલગ અલગ દિશામાં તપાસ કરવામાં આવી હતી.


મફત ફાળવેલા પ્લોટમાં મદ્રેસા ઉભી કરવામાં આવી હતી જે અગાઉ સરકારે લાભાર્થીઓને મફત ફ્લેટ ફાળવ્યા હતા. સરકારી જમીન પર ગેરકાયદે મદ્રેસા ઉભું કરી દેવાયું હતું. ત્યારે આજ રોજ તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાશે. ડિમોલિશનને લઈ ધારી શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. ડિમોલિશન સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. થોડી જ વારમાં ગેરકાયદેસર મદરેસા પર બુલડોઝ ફેરવી ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે.


મૌલાના મોહમદફઝલ અબ્દુલઅજીજ શેખના મૂળ રહેઠાણ અંગે કોઈ પુરાવા મળ્યા નથી. પરંતુ તેના મોબાઈલમાંથી "પાકિસ્તાન" અને "અફઘાનિસ્તાન"ના સોશિયલ મીડિયા ગૃપ મળી આવ્યા છે. એસઓજી ની ટીમ દ્વારા મૌલાનાનો મોબાઈલ કબ્જે લઈ તપાસ શરૂ કરવામાં આવી છે.


અમરેલીની મદ્રેસામાંથી ઝડપાયેલ શંકાસ્પદ મૌલાનાની પૂછપરછ દરમિયાન તે અમદાવાદ શહેરના જુહાપુરાનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. તે કેટલા સમયથી ત્યાં રહેતો હતો. અત્યાર સુધી અહીં કોણ કોણ આવતું હતું. પાકિસ્તાનમાં તેના કોની કોની સાથે સંપર્ક હતા? તે સમગ્ર બાબતોની હાલ તપાસ કરવામાં આવી હતી.


મૌલવીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી મૌલવી મદરેસામાં મજહબી તાલીમ આપવાનું કામ કરે છે. તેના મોબાઈલમાંથી મળી આવેલા ગ્રુપની પણ તપાસ કરવામાં આવી રહી છે. અરબી ભાષામાં થતી વાતચીતનું પણ ભાષાંતર કરવામાં આવ્યું હતું. વધુમાં પહલગામ આતંકી હુમલા વખતે કે તે પહેલાંના સમયમાં થયેલા કોઈ મેસેજ ડિલીટ કરવામાં આવ્યા છે કે કેમ તે પણ તપાસ કરાઈ હતી.


આ સાથે તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે, હિમખીમડીપરાના મદરેસાની સ્થાપના 2018 પહેલાં કરવામાં આવી હતી. જેમાં મૌલવી છેલ્લા એક મહિનાથી તાલીમ આપી રહ્યો હતો. વધુમાં મદરેસામાં માત્ર ચાર બાળકો જ તાલીમ લઈ રહ્યાં હોવાનું સામે આવ્યું છે. પોલીસે મૌલવીના પરિવારની પણ પૂછપરછ કરી છે. દરમિયાન તેઓ જુહાપુરાના મૂળ રહેવાસી હોવાનું તેમણે કહ્યું હતું. પૂછપરછ બાદ પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. વધુમાં પોલીસની ટીમે મૌલાનાની ધરપકડ કરી છે અને હાલ અમદાવાદ લઈને જવાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application