મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ગઇકાલે રાજકોટ ખાતે વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે આવ્યા હતા ત્યારબાદ તેમણે રાજકોટના તમામ ૭૨ કોર્પોરેટર સાથે પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે સંવાદ કર્યો હતો જે અંતર્ગત રાજકોટ શહેરના વિકાસને સ્પર્શતા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં મુખ્યત્વે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા અનેક બિલ્ડીંગના બીયુપી મતલબ કે કમ્પ્લિશન સર્ટિફિકેટ ફ્લાવર બેડના કારણે અટકી પડ્યા હોય તેના કારણે શહેરની રિઅલ એસ્ટેટ માર્કેટની પથારી ફરી ગઈ હોવાનો સુર ખુદ શાસક પક્ષ ભાજપના કોર્પોરેટરોએ વ્યક્ત કર્યો હતો.તમામ વોર્ડના તમામ કોર્પોરેટરને મુખ્યમંત્રી વન ટુ વન મળ્યા હતા. જેમાં મવડી વોર્ડ નં.૧૨ના ભાજપના કોર્પોરેટર અને પૂર્વ મેયર પ્રદીપ ડવએ ટાઉન પ્લાનિંગ બ્રાન્ચમાં બિલ્ડીંગ પ્લાન પાસ થવામાં મુશ્કેલીઓ પડી રહી હોવાની તેમજ હાલ જે બિલ્ડીંગ બની ગયા છે તેના કમ્પ્લિશન સર્ટિફિકેટ ફ્લાવર બેડના કારણે અટકી પડ્યા હોવાના કારણે માર્કેટમાં મંદી જેવી સ્થિતિનું નિર્માણ થયાનું તેમજ અનેક લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની રજુઆત કરી હતી, આ બાબતને ધ્યાનપૂર્વક સાંભળ્યા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ આ મામલાનો યોગ્ય ઉકેલ લાવવા માટે જરૂરી સુચના આપશે તેવી ખાતરી આપી હતી.
જ્યારે વોર્ડ નં.૯ના ભાજપના કોર્પોરેટર અને ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન ચેતન સુરેજાએ ઓનલાઇન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ (ઓડીપીએસ)માં ભારે ધાંધિયા સર્જાઇ રહ્યા હોવાની મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને રજુઆત કરી હતી જેમાં જણાવ્યું હતું કે આ સિસ્ટમમાં પ્રારંભથી જ અનેક વિસંગતતાઓ છે અને તે અંગે અવારનવાર રજૂઆતો કરવા છતાં તેનું કોઇ નિરાકરણ આવતું નથી. ઓડીપીએસનો સોફ્ટવેર જ ફોલ્ટી હોય તેવું જણાય છે આથી તેમાં જરૂરી સુધારા કરવામાં આવે અથવા તો હયાત સોફ્ટવેર દૂર કરીને નવો સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવામાં આવે તેવી માંગ રજૂ કરી હતી.તદઉપરાંત સુરેજાએ રાજકોટના સ્માર્ટ સિટી એરિયાને અમદાવાદના ગિફ્ટ સિટી જેવો દરજ્જો આપવા પણ મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી હતી. આ તકે તેમણે રજુઆતમાં એવી સ્પષ્ટતા પણ કરી હતી દારૂબંધીમાં છૂટછાટના હેતુથી કે તે માટે નહીં પરંતુ ફક્ત ટાઉન પ્લાનીંગના દ્રષ્ટિકોણથી આ દરજ્જો આપવામાં આવે તેવું સુચન છે. મુખ્યમંત્રીએ આ બન્ને મુદાની રજૂઆતો સાંભળીને વિચારણા કરીશું તેમ જણાવ્યું હતું.
સૂચિતમાં બાંધકામ, નોટિસોનો મુદ્દો ઉછળ્યો
મુખ્યમંત્રી સાથેની મુલાકાત દરમિયાન ઉપલાકાંઠાના વોર્ડ નં.૪ના ભાજપના કોર્પોરેટર પરેશ પીપળીયાએ સૂચિત સોસાયટીઓ રેગ્યુલરાઈઝ કરવાની સ્કિમ ચાલી રહી છે તેમ છતાં મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્વારા સૂચિત સોસાયટીઓમાં ડીમોલિશનની નોટિસો આપવામાં આવી રહ્યાના મુદ્દે રજુઆત કરી હતી.
બેફામ ગેરકાયદે બાંધકામો સામે આક્રોશ ઠાલવ્યો
મુખ્યમંત્રી સાથેની મુલાકાત વેળાએ ઉપલાકાંઠાના વોર્ડ નં. ના ભાજપના કોર્પોરેટર રસિલાબેન સાકરીયાએ ગેરકાયદે બાંધકામો મુદ્દે રજુઆત કરી હતી તેમજ એક ધારાસભ્યનું કાર્યાલય પણ સૂચિતમાં ગેરકાયદે બાંધકામ કરી બનાવ્યાનો કથિત આક્ષેપ કરી આક્રોશ વ્યક્ત કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
જનભાગીદારીના કામોમાં ગ્રાન્ટને કારણે વિલંબ
મુખ્યમંત્રી સાથેની મુલાકાતમાં વોર્ડ નં.૮ના ભાજપના કોર્પોરેટર અને વોટર વર્કસ કમિટીના ચેરમેન અશ્વિનભાઇ પાંભરએ જનભાગીદારીથી થતા કામો સૂચવ્યા બાદ ગ્રાન્ટને કારણે વિલંબિત થતા હોવાને મુદ્દે રજુઆત કરતા સીએમ એ આ બાબતને ગંભીરતાથી લીધી હતી અને સાથે રહેલા અધિકારીને આ પ્રશ્નની નોંધ કરવા જણાવ્યું હતું. સ્થાનિક કામોનું એસ્ટીમેટ સરકારમાં મોકલ્યા બાદ ગ્રાન્ટ આવવામાં વિલંબ થતો હોય આ વર્ષે સુચવેલા કામ આવતા વર્ષે થાય તેવું બને છે.
રાત્રે ૧૨ વાગે દુકાનો બંધ કરાવો, ક્રાઇમ ઘટશે
મુખ્યમંત્રીને વોર્ડ નં.૧૦ના ભાજપના કોર્પોરેટર ચેતન સુરેજાએ એવી રજુઆત કરી હતી કે રાજકોટમાં ક્રાઇમ વધી રહ્યું છે તે ઘટાડવા માટે અગાઉની જેમ રાત્રે ૧૨ વાગ્યે બજારો દુકાનો બંધ કરાવો તો ક્રાઈમ ઘટી જશે. રાત્રીના સમયે જ ક્રાઇમના બનાવો વધુ બની રહ્યા છે. આ ઉપરાંત રાજકોટમાં હિટ એન્ડ રનના કેસનું પ્રમાણ ભયજનક હદે વધી રહ્યું હોય તેને નિયંત્રિત કરવા પગલાં લેવાય તેવી પણ માંગણી કરી હતી.
આજી નદીમાંથી ગંદકી, જંગલેશ્વરમાં દબાણ હટાવો
મુખ્યમંત્રીને વોર્ડ નં.૧૬ના કોર્પોરેટરો સુરેશભાઈ વસોયા, રુચિતાબેન જોષી વિગેરેએ તેમજ વોર્ડ નં.૧૭ના કોર્પોરેટર વિનુભાઇ ધવાએ રાજકોટમાંથી પસાર થતી આજી નદીમાં કન્સ્ટ્રક્શન વેસ્ટ ફેંકવામાં આવતો હોવાના કારણે નદી પુરાઇ રહી હોવાની તેમજ જંગલેશ્વર વિસ્તારમાં બેફામ દબાણો અને ગેરકાયદે બાંધકામો થઇ રહ્યા હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નહીં હોવાની રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ રજુઆત સાંભળીને યોગ્ય કરવા ખાતરી આપી હતી.
ડ્રગ્સ, દારૂ અને ગાંજાનું વેંચાણ બંધ કરાવો
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૧ ના ભાજપના કોર્પોરેટર અને શાસક પક્ષના નેતા લીલુબેન જાદવએ મુખ્યમંત્રીને એવી રજૂઆત કરી હતી કે રાજકોટમાં પાનની દુકાનો એથી ડ્રગ્સ, ગાંજો અને દારૂનું વેચાણ થાય છે તે બંધ કરાવવા કાર્યવાહી કરાવો. ખાસ કરીને શાળા કોલેજોની આજુબાજુમાં આવેલી દુકાનોમાં આવી પ્રવૃત્તિ ચાલી રહ્યા ની તેમણે રજૂઆત કરી હતી.
આજી ડેમના નર્મદાનીરમાં વાહનો ધોવાય છે
મુખ્યમંત્રી સાથેની વાતચીતમાં વોર્ડ નં.૧૭ના ભાજપના કોર્પોરેટર વિનુભાઇ ધવાએ રાજકોટને પીવાનું પાણી જેમાંથી અપાય છે તે આજી-૧ ડેમ કે જે હાલ સૌની યોજનાના નર્મદા નીરથી ભરેલો છે તેમાં દરરોજ ખુલે આમ રીક્ષા, છકડો, ટ્રેક્ટર, ટ્રક, ડમ્પર જેવા વાહનો ધોવાય છે તેથી પાણી પ્રદુષિત થાય છે. લોકો તેમાં નહાય છે કપડાં ધોવે છે છતાં કોઈ રોકતું નથી તેવી રજુઆત કરી હતી. આ ઉપરાંત સૂચિત સોસાયટીઓ રેગ્યુલરાઇઝ કરવાની પ્રક્રિયા ઝડપી કરવા તેમણે માંગ કરી હતી.
કોઠારીયાના દબાણો કલેકટર તંત્ર હટાવતું નથી
મુખ્યમંત્રીને વોર્ડ નં.૧૭ના ભાજપના કોર્પોરેટર કીર્તિબા રાણા સહિતના કોઠારીયા રોડ અને કોઠારીયા ગામ વિસ્તારના કોર્પોરેટરોએ એવી રજૂઆત કરી હતી કે તેમના વોર્ડમાં અનેક જગ્યાએ દબાણો છે પરંતુ જ્યાં આગળ દબાણ છે તે જગ્યા કલેકટર તંત્ર હસ્તકની છે આથી મહાપાલિકા તંત્ર ત્યાં આગળ ડિમોલિશન કરી શકતું નથી અને કલેક્ટર તંત્ર પોતાની જગ્યાના દબાણો દૂર કરવા માટે ડિમોલિશન કરતું નથી આથી દબાણો યથાવત રહે છે. આ પ્રશ્નનું કંઇક નિરાકરણ લાવો.
માધાપર ચોકડીએ અન્ડરપાસની ખાસ જરૂર
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાથેની વાતચીતમાં વોર્ડ નં.૨ના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકરએ માધાપર ચોકડી વિસ્તારની ટ્રાફિક સમસ્યા ઉકેલવા અન્ડર પાસની ખાસ જરૂરિયાત હોય તે અંગેની પ્રક્રિયા ઝડપથી આગળ ધપે તે માટે રજુઆત કરી હતી. સીએમએ આ અંગે હકારાત્મક કાર્યવાહીની ખાતરી આપી હતી.
કોર્પોરેટરોના પ્રશ્નો ઉકેલો: સીએમનો આદેશ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથેની મીટીંગમાં વિવિધ બોર્ડના કોર્પોરેટરોએ તેમના વોર્ડના તેમજ શહેર કક્ષાના પ્રશ્નો રજૂ કર્યા હતા. કોર્પોરેટરો સાથેની મુલાકાત પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રીએ મહાપાલિકાના પાંચેય પદાધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેકટર અને પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ સાથે મીટીંગ યોજી હતી અને કોર્પોરેટરોએ રજૂ કરેલા પ્રશ્નોનું તાત્કાલિક અસરથી નિરાકરણ લાવવા આદેશ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech