દેવભુમિ દ્વારકામાં છેલ્લા ઘણા સમયથી ભારે ચર્ચામાં રહેલ વરવાળાના દરીયા કીનારે આવેલ ધ સ્કાય ક્ધર્ફટ હોટલને ગત સપ્તાહે સીલ મારી કડક કાર્યવાહી કરવામાં આવી હતી, અતિ ચકચારી બની ગયેલા આ પ્રકરણમાં દ્વારકા મીઠાપુર રોડ પર વરવાળા ગામ ખાતે આવેલ પાંચ માળની ૩૬ રુમ ધરાવતી હોટલને તાલુકા વિકાસ અધિકારી વરવાળા અને સરપંચ સહીતની ઉપસ્થિતિમાં તંત્ર દ્વારા એસડીએમના હુકમની અમલવારી કરી સીલ મારવામાં આવ્યું હતું.
આ હોટલ રહેણાંક હેતુ માટે બીન ખેતી થયેલ જગ્યામાં વાણીજય હેતુથી બાંધકામ કરી હોટલ કાર્યરત હતી તેમજ હોટલમાં ફાયરના કોઇપણ સાધનો ઉપલબ્ધ ન હતાં તેમજ એનઓસી પણ હતી નહીં, આ બધા કારણોસર એસડીએમ દ્વારા અગાઉ નોટીસો પાઠવવામાં આવી હતી, છતાં કોઇ કાર્યવાહી ન કરાતા હોટલ સીલ કરવામાં આવી હતી.
આ બાબતે હોટલ માલીક દ્વારા હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી હતી, ગઇકાલે હાઇકોર્ટે આપેલ ચુકાદામાં તંત્રને રુકજાવનો આદેશ કરવામાં આવ્યો છે તેમજ હોટલનું ડીમોલીશન ન કરવા પણ હુકમ કરાયો છે. એસડીએમ દ્વારા હોટલમાં ફાયર સેફટીની આવશ્યક સુવિધાનો અભાવ, કોસ્ટલ રેગ્યુલેશન ઝોન, કાયદા અને પર્યાવરણ સુરક્ષા અધિનિયમનું ઉલ્લંઘન તેમજ હોટલની બાંધકામ મંજુરી માત્ર રહેણાંક હેતુ માટે જ હતી અને તેનો વ્યવસાયીક ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો તેથી હોટલને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી.