જામનગર શહેર સમગ્ર હાલારમાં ઠંડી ગરમીનું મિશ્ર વાતાવરણ જોવા મળે છે. ગઇકાલ કરતા લઘુતમ તાપમાનમાં ર ડીગ્રીનો વધારો થયો છે. ગઇકાલે બપોરના ગરમી પડયા બાદ સાંજે અને આજે સવારે ઠંડકભર્યુ વાતાવરણ જોવા મળ્યું હતું. આમ મિશ્ર વાતાવરણ હજુ પણ લોકોને જોવા મળ્યું છે.
કલેકટર કચેરીનાં કંટ્રોલરૂમના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન ૧૬.૫ ડીગ્રી, મહતમ તાપમાન ૩૦.૫ ડીગ્રી, હવામા ભેજ ૮૨ ટકા અને પવનની ગતિ ૧૫ થી ૨૦ કિ.મી. પ્રતિકલાક જોવા મળી હતી. ગામડાઓમાં પણ ત્રણ દિવસથી ઠંડીનુ પ્રમાણ ઘટયુ હતું. આજે સવારે ફરીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જો કે ઝાકળના કારણે રસ્તાઓ ભીના થયા હતા અને વાહનચાલકોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. જેનાથી લોકોને સારો એવો ફાયદો થયો છે. જો કે આગામી દિવસોમાં હજુ એકવાર ઠંડીનો ચમકારો જોવા મળશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.
આ વર્ષે ઠંડી એકાદ મહિનો મોડી શરૂ થઇ છે અને કદાચ શિયાળો એકાદ મહિનો મોડો પુરો થશે તેમ લાગે છે, એકધારી પંદર દિવસ સુધી ઠંડી પડતા હાલારનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું ધીરે ધીરે ઠંડી ઘટવાની શરૂઆત થઇ છે.
હવે ધીરે ધીરે લઘુતમ તાપમાન વધતુ જાય છે જો કે ૭ દિવસથી મહતમ તાપમાન હજુએમનેએમ હતું હવે મહતમ તાપમાન ૩૦.૫ ડીગ્રીએ પહોંચ્યુ છે. ત્યારે હવે બપોરે ધીરે ધીરે ગરમી શરૂ થઇ છે ત્યારે લોકો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે જો કે અઠવાડિયાથી તાવ, શરદી, ઉધરસનાં કેસો પણ વઘ્યા છે ત્યારે આગામી દિવસોમાં પણ હજુ મિશ્ર સીઝન રહે તેવી શકયતા છે. શિવરાત્રી એટલે કે લગભગ તા.૧૫ બાદ ઘટાડો થશે.
હાલારના તાલુકા મથકો કાલાવડ, ખંભાળીયા, દ્વારકા, કલ્યાણપુર, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, ભાટીયા, રાવલ, લાલપુર, ફલ્લા સહિતનાં ગામોમાં પણ ધીરે ધીરે ગરમીની શઆત થઇ છે પરંતુ મિશ્રઋતુનાં કારણે રોગચાળો પણ શરૂ થઇ ચુકયો છે. ખાસ કરીને શરદી ઉધરસનાં કેસો વધી રહ્યા છે. જો કે હજુ નિષ્ણાંતો કહે છે એકાદ વખત તો ઠંડીનું રાઉન્ડ આવશે અને ૧૫ ફેબ્રુઆરી બાદ ઠંડી ઓછી થઇ જશે અને ધીરે ધીરે ગરીમીની શરૂઆત થશે.
શિયાળો ધીમે ધીમે વિદાય લઇ રહ્યો છે ત્યારે ગઇકાલ સાંજથી ફરીથી વાતાવરણમાં ઠંડક જોવા મળી છે જો કે બપોરે ૧૨ થી ૫ દરમ્યાન ગરમીનો માહોલ પણ જોવા મળ્યો છે. હાલ તો પરિસ્થિતિ એવી છે કે બવડી ઋતુનાં કારણે શહેર જિલ્લામાં રોગચાળો વઘ્યો છે. તાવ, શરદી, ઉધરસનાં કેસો વધુ જોવા મળ્યા છે. મહાપાલિકાનાં ૧૨ પીએચસી સેન્ટરમાં ઓપીડીમાં તાવ, શરદી, ઉધરસનાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઇ ચુકયો છે. કેટલાક દર્દીઓ પાંચ પાંચ દિવસ સુધી તાવમાં ભીડાય છે. ત્યારે તા.૨૦ બાદ હાલારમાં ઋતુફેર થશે તેમ મનાય છે.
એક તરફ જામનગરમાં ધરારનગર વિસ્તારમાં કોલેરા શરૂ થયો છે અને કેટલાક વિસ્તારોમાં તાવના કેસો પણ શરૂ થઇ ચુકયા છે. જયારે હજુ પણ મિશ્ર વાતાવરણ રહે તેવી શકયતા છે. આમ હાલ તો મિશ્ર ઋતુનો સામનો કરી રહ્યા છે.