આગામી દિવસોમાં કમોસમી વરસાદથી આંબા પાકના મોર પર જોખમ, ખેડૂતોને સમયસર પગલાં લેવા બાગાયત વિભાગની અપીલ

  • January 21, 2026 09:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હવામાન ખાતાની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગામી તા. ૨૧-૦૧-૨૦૨૬ થી ૨૫-૦૧-૨૦૨૬ દરમ્યાન વાદળછાયુ વાતાવરણ રહેવાની અને કોઈક જગ્યાએ હળવા કમોસમી વરસાદની શક્યતા છે. જેના કારણે હાલ આંબા પાકમાં મોર આવવાના તબક્કે ખેડૂતોને નુકશાન થવાની શક્યતા છે. આંબાના મોરનો સમય અત્યંત સંવેદનશીલ હોય છે અને આ દરમિયાન વધુ ભેજ અને વરસાદ થવાથી ફળ બંધાણ ઘટી શકે છે તેમજ ફૂગજન્ય રોગોનું પ્રમાણ વધી શકે છે.

કમોસમી વરસાદથી મોર લાંબો સમય ભીનો રહેવાથી ફૂલ અને નાની કણી ઝડી જવી, પરાગ નયન પ્રક્રિયામાં અડચણ આવવી, તેમજ પાઉડરી મિલ્ક્ય (ભૂકી છારો) અને એન્થ્રાક્નોઝ (કાળવણ) જેવા રોગો ઝડપથી ફેલાવાની શક્યતા વધી જાય છે. પરિણામે કેરી બેસાણ ઉપર નકારાત્મક અસર પડી શકે છે.

આવા સંજોગોમાં ખેડૂતોને બાગાયત વિભાગ દ્વારા સૂચનો આપવાના આવ્યા છે જે મુજબ, વરસાદ આવવાના પહેલા અથવા વરસાદ બંધ થયા બાદ 24 કલાકની અંદર યોગ્ય ફૂગનાશક દવાનો છંટકાવ કરવો. આ માટે કાર્બેડેઝિમ (1 ગ્રામ પ્રતિ લીટર) અથવા હેક્સાકોનાઝોલ (1 મીલી પ્રતિ લીટર) અથવા વેટેબલ સલ્ફર (2 ગ્રામ પ્રતિ લીટર) માંથી કોઈ એક દવાનો છાંટકાવ કરવા થી રોગોનું નિયંત્રણ થઇ શકે છે. દવા સાથે સ્ટિકર ભેળવવાથી અસર વધુ સારી મળે છે.

વરસાદ પહેલાં મોર નબળો ના પડે અથવા ફૂલ ખરી ના જાય તે માટે બોરોન (0.2%) અને ઝીંક (0.5%) જેવા સૂક્ષ્મ પોષક તત્વોના ફોલિયર સ્પ્રે કરવાથી મોર મજબૂત બને છે.

ખેતરમાં પાણીનો ભરાવોના થાય તે માટે યોગ્ય પાણી નિકાલ વ્યવસ્થા કરવી અનિવાર્ય છે.

બાગાયત વિભાગ ખેડૂતોને અપીલ કરે છે કે બપોરની ગરમીમાં છંટકાવ ટાળવો, વરસાદની આગાહી મુજબ આયોજન કરવું અને દવાનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવો. સમયસર યોગ્ય પગલાં લેવાથી કમોસમી વરસાદથી થતું નુકશાન ઘણી હદ સુધી અટકાવી શકાય છે. તેમ નાયબ બાગાયત નિયામક જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application