રાજકોટમાં પાણીજન્ય રોગચાળો બેકાબુ; કમળો, ટાઇફોઇડ, ઝાડા ઉલ્ટીના ૧૭૬ કેસ

  • May 05, 2025 02:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં મહાપાલિકા તંત્રના પોકળ દાવાઓ વચ્ચે પાણીજન્ય રોગચાળો બેકાબુ બન્યો છે. કમળો, ટાઇફોઇડ, ઝાડા ઉલટી વિગેરે પાણીજન્ય રોગના ૧૭૬ કેસ સહિત કુલ ૧૧૩૭ કેસ નોંધાયા છે. અલબત્ત આ તો રેકર્ડ ઉપર નોંધાયેલા અને જાહેર કરાયેલા આંક છે, ખાનગી તબીબી વર્તુળોના જણાવ્યા મુજબ તો શહેરમાં હાલ પાણીજન્ય રોગચાળાના મનપાએ જાહેર કરેલા કેસ કરતા દસ ગણા કેસ છે. ખાસ કરીને આઇસ ગોલા, આઈસ્ક્રીમ સહિતના ઠંડા પીણાંની દુકાનો તેમજ શેરડીના રસના ચિચોડા અને રેંકડીઓમાં ચેકિંગ કરાતું ન હોય પાણીજન્ય રોગચાળો ઝડપથી પ્રસરી રહ્યો છે.

વિશેષમાં મહાપાલિકાના આરોગ્ય અધિકારીએ જાહેર કરેલા વિકલી એપેડમિક રિપોર્ટ અનુસાર છેલ્લા એક સપ્તાહમાં ડેંગ્યુ, મેલેરિયા કે ચિકનગુનિયા સહિતના મચ્છરજન્ય રોગચાળાનો એક પણ કેસ નોંધાયો નથી. જ્યારે કમળાના સાત, ટાઈફોઈડના બે, ઝાડા ઉલ્ટીના ૧૬૭, સામાન્ય તાવના ૫૭૧ અને શરદી ઉધરસના ૩૯૦ કેસ નોંધાયા છે. તેમણે ઉમેર્યું હતું કે રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પાણીના ૩૪૯ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેનો ક્લોરિન ટેસ્ટ કરતા તેમાંથી ફક્ત બે સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. ઉનાળાના પ્રારંભથી જ શહેરમાં પાણીજન્ય રોગચાળાના કેસ સતત વધી રહ્યા છે તેનો પરોક્ષ એકરાર કરતા મહાપાલિકા તંત્રએ હવે પાણીજન્ય રોગચાળાથી બચવા શું કરવું જોઇએ તેની માર્ગદર્શિકા અડધો ઉનાળો વિતી ગયા પછી જાહેર કરી છે.


પાણીજન્ય રોગોથી બચવા માર્ગદર્શિકા જાહેર

-પીવાના પાણીને ઉપયોગમાં લેતાં પહેલાં ૨૦ મિનિટ સુધી ઉકાળવું અને ત્યારબાદ જ પીવું

-પીવાના ૨૦ લીટર પાણીમાં ૧ ક્લોરીનની ગોળીનો ભૂકો કરીને દ્રાવણ બનાવીને નાખવું અને અડધા કલાક પછી જ પીવાના ઉપયોગમાં લેવું

-તમામ ટાંકી, કુવા વિગેરે સાફ કરાવી તેમાં રોજ આરોગ્ય કેન્દ્ર અથવા આરોગ્ય કર્મચારીની સુચના મુજબ નિયત પ્રમાણમાં ટીસીએલ (બ્લીચીંગ) પાવડરનું દ્રાવણ નાંખી ક્લોરીનેશન કરેલું પાણી જ પીવાના ઉપયોગમાં લેવું.

-ઘરોની આજુબાજુ ગંદકી કરવી નહી, કચરાનો યોગ્ય નિકાલ કરવો

-ઠેર ઠેર એકઠાં થયેલા ઉકરડાનો નાશ કરવો અને ચૂનાના પાવડરનો છંટકાવ કરવો

-વાસી ખોરાક અથવા પલળી ગયેલા અનાજનો ઉપયોગ કરવો નહી

-ખાધ પદાર્થોને ઢાંકીને રાખવા

-દૂધ ઉકાળીને પીવું

-ઝાડા-ઉલ્ટીની અસર ધરાવતાં દર્દીને તાત્કાલિક ઓ.આર.એસ.નું દ્રાવણ બનાવી પીવડાવો

-નજીકના આરોગ્ય કર્મચારી અથવા સરકારી દવાખાનાનો સંપર્ક કરી યોગ્ય સલાહ-સારવાર મેળવો

-ક્લોરીન ટેબ્લેટની જરૂરીયાત હોય તો નજીકના શહેરી પ્રાથમિક કેન્દ્રનો સંપર્ક કરવો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application