તબિયત સારી છે, ઝડપથી રિકવરી થાય, સ્વસ્થ થઇને વહેલા પરત આવે એવી શુભેચ્છાઓ સમર્થકો આપી રહયા છે : પરંતુ ખુદ રાઘવજીભાઇ તબિયતના અનુસંધાને જો સક્રિય રાજકારણમાં લાંબો બ્રેક લે તો સ્થીતી બદલાઇ શકે : લોકસભાની ચુંટણીમાં પણ આ સિનીયર લેઉવા પટેલ આગેવાનની ભાજપને જરુરીયાત તો છે જ
જામનગરના રાજકારણ પર લાંબો સમયથી પ્રભુત્વ ધરાવતા અને છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્યને લઇને સંઘર્ષ કરી રહેલા હાલમાં પણ હોસ્પિટલના બીછાને રહેલા રાઘવજીભાઇની તબીયત વ્હેલી તકે સારી થાય એવી શુભેચ્છાઓ દરેક લોકો આપી રહ્યા છે અને સમર્થકો પ્રાર્થના કરી રહ્યા છે કે કૃષિમંત્રી વ્હેલી તકે સાજા થઇને પરત જોવા મળે, ઝડપથી રિકવરી થાય, પરંતુ એક સવાલ એ પણ ઉઠે છે કે, તબિયતના અનુસંધાને જો ખુદ રાઘવજીભાઇ પટેલ સક્રિય રાજકારણમાં થોડો લાંબો બ્રેક લેશે તો સ્વાભાવીક રીતે જામનગર જીલ્લાના રાજકીય સમીકરણમાં એકા એક બદલાવ પણ આવી શકે છે.
હાલમાં તો લોકસભાની ચુંટણી માથે છે અને આવા ખરાખરીના સમયે કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ જે જામનગર જિલ્લાના લેઉવા પાટીદારોના મોટા નેતા ગણાય તેઓ બિમાર છે, એટલે સ્વભાવિક રીતે ચૂંટણી જંગ દરમ્યાન રાઘવજીભાઇને સ્વાસ્થ્ય સંબંધી આરામ કરવો પડે તો એક મોટા ચહેરાની ખોટ ચૂંટણી પ્રચાર દરમ્યાન ભાજપને વર્તાશે એ વાત તો સમજી શકાય એવી છે.
એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, હોસ્પિટલથી પરત આવ્યા બાદ બની શકે કે રાઘવજીભાઇ પટેલ સ્વાસ્થ્યને વધુ મજબુત કરવા માટે કદાચ થોડા સમય માટે રાજકારણમાં બ્રેક પણ લઇ શકે છે, કારણ કે એક વાત જાણીતી છે જાન હૈ તો જહાન હૈ...એટલે તબીયત ઉપર વધુ ઘ્યાન રાખે એવું પણ બની શકે.
જો આવું કંઇક થાય તો અનુમાનના અંકોળા એવું દેખાડે છે કે કદાચ જિલ્લાના રાજકારણમાં કે જે મહદ અંશે જ્ઞાતિ આધારીત છે તેમાં ધરમુળથી ફેરફાર પણ આવી શકે. દા.ત.રાઘવજીભાઇ પોતે તબીયતના અનુસંધાને ભાજપ સરકાર પાસેથી કોઇ આરામદાયક જગ્યા માંગે તો એક મોટા અને સક્રિય રાજકારણીની જામનગર ભાજપની ટીમને અછત પડી શકે તેમ છે. આ બધી બાબતોને નજરમાં રાખીને રાજકીય વિશ્ર્લેષકો એવું પણ સમજી રહ્યા છે કે આવનારા સમયમાં જામનગર શહેર-જિલ્લાના રાજકીય પક્ષોના જ્ઞાતિ આધારીત માળખામાં ફેરફારો પણ થઇ શકે છે.
હાલમાં જામનગર જીલ્લાની વિધાનસભાની પાંચ બેઠકોમાંથી ૭૭-જામનગર ગ્રામ્યની બેઠક પાટીદારો પાસે ગણાય જયાં રાઘવજીભાઇ પટેલ ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા, આ ઉપરાંત ૭૯-જામનગર (દક્ષિણ) ની બેઠક પર પણ દિવ્યેશ અકબરી ધારાસભ્ય છે એટલે આ બેઠક પણ પાટીદારો પાસે છે.
જામજોધપુર વિધાનસભાની બેઠક પર પણ ભાજપે કડવા પાટીદારોના કદાવર નેતા અને પુર્વ મંત્રી ચિમનભાઇ સાપરીયાને વિધાનસભાના ચુંટણી જંગમાં ઉતાર્યા હતા પરંતુ પાટીદાર સમાજ સમર્પીત આ બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ થયો હતો અને એ બેઠક હાલમાં જ્ઞાતીના ગણિત પ્રમાણે જોઇએ તો આહિર સમાજ પાસે છે.
જો રાઘવજીભાઇ પટેલ પોતાની મરજીથી અને પોતાના સ્વાસ્થ્યને ઘ્યાનમાં રાખીને સક્રિય રાજકારણમાં બ્રેક લે તો ઉપરોકત બધા સમીકરણો કદાચ બદલાઇ પણ શકે અને ન ધાર્યુ હોય એવું પણ ચિત્ર રાજકીય નગરીમાં સર્જા શકે.
જામનગર જીલ્લાના રાજકારણ પર જુના જોગીઓનું ગજબનું પ્રભુત્વ અત્યાર સુધી રહયું છે, દા.ત. મુળુભાઇ બેરા કે જે હાલમાં વન અને પર્યાવરણ મંત્રી છે, આર.સી. ફળદુ પણ મોટું નામ ગણી શકાય, એ વાત અલગ છે કે ગત વિધાનસભાની ચુંટણીમાં એમને વણમાંગ્યો વિરામ આપી દેવામાં આવ્યો, આમ છતાં એમને લોકસભાની ચુંટણીમાં જીવંત રાખવા માટે લોકસભાની ત્રણ બેઠકના કલ્સ્ટરના પ્રભારી બનાવવામાં આવ્યા છે, એટલે એમને પણ કયાંક ને કયાંક સાચવી લેવામાં આવ્યા છે.
એક તરફ ભાજપ ગુજરાતથી લઇને રાષ્ટ્રીય કક્ષાએ યુવાઓ અને મહિલાઓને વધુ પ્રોત્સાહીત કરવાની નીતિ કદાચ બનાવી ચુકયું છે પરંતુ જયાં સુધી જામનગર જીલ્લાના રાજકારણને લાગે વળગે છે ત્યાં સુધી અહીં તો જુના જોગીઓનો જ દબદબો રહયો છે, હવે આ સિલસિલો આગળ કયાં સુધી ચાલશે તેનો નિર્ણય તો ભાજપના જ રાજકીય પંડીતો કરી શકે છે.
આ બધી ચર્ચાઓ હાલની તકે કરવાનો સમય એટલા માટે યોગ્ય છે કારણ કે લોકસભાની ચુંટણીની આડે દિવસો જ બાકી રહયા છે, આ બીગ ફાઇટ છે, કોઇ પક્ષ જરા પણ અંધારામાં રહેવા માંગશે નહીં અને કોઇપણ ખાનું એવું ખાલી રાખવા નહીં માંગે જયાં અન્ય રાજકીય પક્ષ પોતાનું પાયદળ ગોઠવીને રાજકીય શતરંજમાં મ્હાત આપી શકે.
હાલમાં તો વાત જો અને તો પર જ આધારીત રહેશે કારણ કે, રાજકોટની હોસ્પીટલમાંથી રજા મળી ગયા બાદ રાઘવજીભાઇ પરત આવે, ઘરે આરામ કરે એ પછી જ તેઓ પોતાના ભાવી પ્લાન અંગે પત્તા ખોલશે અને ત્યારે સ્પષ્ટતા વધુ સારી રીતે થઇ શકશે, હા એ વાત અલગ છે કે લોકસભાની ચુંટણી ટાણે એમની ગેરહાજરી અને સંભવીત બ્રેકની શકયતા જોઇએ તો રાજકીય સમીકરણો બદલાઇ શકે એવું નકારી શકાય નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationએડવાન્સ ટેક્સ ભરનારા કરદાતાઓ નજર પર રાખો: આવકવેરા વિભાગે જારી કર્યો આદેશ
May 05, 2025 02:17 PMજામનગર રેલ્વે સ્ટેશન પાસે અજાણ્યા પુરુષનું મૃત્યુ
May 05, 2025 01:46 PMજામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત: બે વૃઘ્ધાને હડફેટે લેતા ઇજા
May 05, 2025 01:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech