જામનગર: જાંબુડા પાટીયા પાસે વોટરપાર્કમાં ડૂબી જવાથી બાળકનું મૃત્યુ
નવ વર્ષના માસુમનો ભોગ લેવાતા પરિવારમાં સર્જાયો કાળો કલપાત: વધુ એક વખત વોટરપાર્કમાં જતા લોકોની સુરક્ષા સામે ઉઠયા સવાલ
જામનગર નજીક જાંબુડા પાટીયા પાસે આવેલા ખાનગી રિસોર્ટના સ્વિીમીંગ પૂલમાં ન્હાતી વેળાએ ડુબી જવાથી માસુમનો ભોગ લેવાયો છે, આ ઘટના સામે આવતા ભારે શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
જામનગર- રાજકોટ હાઇવે પર જાંબુડા નજીક આવેલા હોલીડે વોટરપાર્ક રિસોર્ટમાં ગઇકાલે સાંજે પરિવારજનો સાથે ન્હાવા માટે ગયેલા હર્ષ કિરીટભાઈ પરમાર નામના નવ વર્ષના બાળકનું સ્વિમિંગ પૂલમાં અકસ્માતે ડૂબી જવાના કારણે કરુણ મૃત્યુ નીપજ્યું હતું જેથી ભારે કરુણતા છવાઈ ગઇ હતી.
જામનગર ફરવા માટે આવેલો હર્ષ પરમાર નામનો ૯ વર્ષ નો બાળક અન્ય પરિવારજનો સાથે જાંબુડા નજીક આવેલ હોલીડે રિસોર્ટમાં ન્હાવા ગયા બાદ અકસ્માતે સ્વિમિંગ પૂલમાં પાણી પી જવાથી બેશુદ્ધ બન્યો હતો. જેને સારવાર માટે સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવાતાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજયું હોવાથી સમગ્ર પરિવારમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે.
આ બનાવની જાણ થતાં પંચકોષી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે અને ત્યારબાદ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને બાળકના મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
વોટરપાર્કમાં લોકો મોજ મસ્તી અને મનોરંજન માટે પરિવારજનો સહિતનાઓ સાથે જતા હોય છે, ગઇકાલે પણ પરિવાર અને આજુબાજુના લોકો મજા કરવા ગયા હતા, દરમ્યાન બાળક ડુબી જવાનો બનાવ સામે આવતા ગમગીની છવાઇ ગઇ હતી, અત્રે ઉલ્લેખનીય છે કે ખાનગી રિસોર્ટના વોટરપાર્કમાં લોકોની સલામતી-સુરક્ષા બાબતે પણ સવાલો ઉઠયા છે.