ભાણવડમાં એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૩ અબોલ જીવોનું રેસ્ક્યુ
ઊંડા કૂવામાંથી પશુઓને સાહસિક ઓપરેશન થકી મળ્યું નવજીવન
ભાણવડ પંથકમાં અબોલ જીવોની સેવા માટે હર-હંમેશ કાર્યરત એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માનવતા અને સાહસનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતી ખૂબ જ પ્રશંસનીય કામગીરી સામે આવી છે.
છેલ્લા એક અઠવાડિયા દરમિયાન ફતેપુર, ઘુમલી, સઈ દેવળિયા, રોજીવાડા અને ખરવાડ સહિતના ગામોમાં આવેલા ઊંડા કૂવાઓમાં ખાબકેલા કુલ ૧૩ અબોલ જીવોને સુરક્ષિત બહાર કાઢી નવજીવન આપ્યું છે.
ટ્રસ્ટની ટીમે હાઇડ્રોલિક એનિમલ એમ્બ્યુલન્સની મદદથી અને જીવના જોખમે કૂવામાં ઉતરીને ૬ શ્વાન, ૧ શિયાળ, ૩ બિલાડી, ૩ સાપને આબાદ બહાર કાઢી સ્થળ પર જ મુક્ત કર્યા હતા. આ સાહસિક કામગીરીમાં કૂવામાં ઉતરવાનું જોખમ લાલુ કારાવદરા, વિશાલ ભરવાડ અને હારૂનભાઈએ ઉઠાવ્યું હતું, જ્યારે સમગ્ર ઓપરેશનને સફળ બનાવવામાં ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ ભટ્ટ, વિજય ખૂંટી, મેરામણ ભરવાડ, દૂદા ભાઈ, અનિલ પરમાર અને અક્ષય સૂચકે મહત્વનું યોગદાન આપ્યું હતું. ટ્રસ્ટની આ કામગીરીને સમગ્ર પંથકમાં બિરદાવવામાં આવી રહી છે.