BREAKING NEWS

દ્વારકા-ઓખા સહિત રાજ્યની ૧૭ દીવાદાંડીને આધુનિક સુવિધાઓથી બનાવાશે પ્રવાસલક્ષી

  • August 25, 2026 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા-ઓખા સહિત રાજ્યની ૧૭ દીવાદાંડીને આધુનિક સુવિધાઓથી બનાવાશે પ્રવાસલક્ષી

દ્વારકા જિલ્લાના વિકાસમાં ઉમેરાશે એક વધુ છોગું: રાત્રિના નાવિકોને દિશા સૂચક બનતી દિવાદાંડી પ્રવાસનના આકર્ષણનું બનશે કેન્દ્ર

ગુજરાતની ૧૭ દીવાદાંડીઓ બનશે દરિયાઈ વારસા અને પ્રવાસનનાં નવા કેન્દ્રો ગુજરાતને કુદરતે લાંબો દરિયાકિનારો આપ્યો છે. કચ્છથી લઈને દક્ષિણ ગુજરાતના ઉમરગામ સુધી ફેલાયેલા આ દરિયાકાંઠે બંદરો, દરિયાઈ વેપાર, નૌકાવહન અને ઐતિહાસિક દીવાદાંડીઓ ગુજરાતની સમૃદ્ધ દરિયાઈ વિરાસતના સાક્ષી છે. હવે આ દીવાદાંડીઓને માત્ર જહાજોને માર્ગદર્શન આપતી વ્યવસ્થા પૂરતી સીમિત રાખવાને બદલે પ્રવાસન, શિક્ષણ અને સાંસ્કૃતિક વારસાના કેન્દ્રો તરીકે વિકસાવવાની દિશામાં મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે.દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિકાસમાં એક વધુ છોગું ઉમેરાશે.

ગુજરાતની ૧૭ દીવાદાંડીઓમાં પ્રવાસનલક્ષી આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી છે. તેમાં માંડવી, રાવલપીર, સમિયાણી, ઓખા, કચ્છીગઢ, પોરબંદર, માંગરોળ, જાફરાબાદ, જેગ્રી, અલંગ, ઘોઘા, હજીરા, વલસાડ ખાડી, ગોપનાથ, વેરાવળ, દ્વારકા અને ઉમરગામની દીવાદાંડીઓનો સમાવેશ થાય છે.

દીવાદાંડીનું મૂળ કાર્ય સમુદ્રમાં પસાર થતાં જહાજોને સુરક્ષિત માર્ગદર્શન આપવાનું છે. રાત્રિના અંધકારમાં દૂરથી દેખાતો પ્રકાશ નાવિકો માટે દિશાસૂચક બની રહે છે. હવે આ ઐતિહાસિક માળખાને પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બનાવવામાં આવી રહ્યાં છે.

આ સ્થળોએ કેફેટેરિયા, સુશોભિત બગીચા, ગઝિબો, બાળકો માટેની મનોરંજન સુવિધાઓ, ઍમ્ફિથિયેટર, જાહેર સુવિધાઓ, લિફ્ટ તથા કેટલીક જગ્યાએ લાઇટ એન્ડ સાઉન્ડ શો જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. પરિણામે દીવાદાંડીનો અનુભવ માત્ર દરિયાઈ દૃશ્ય જોવા પૂરતો નહીં રહે, પરંતુ મુલાકાતીઓને ગુજરાતના દરિયાઈ ઈતિહાસ અને નૌકાવહનની ટેક્નોલોજી વિશે જાણવાની તક પણ મળશે.

દીવાદાંડી વિકાસમાં દ્વારકા અને ગોપનાથ વિશેષ મહત્વ ધરાવે છે. અહીં લાઇટહાઉસ મ્યુઝિયમની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં દીવાદાંડી અને દરિયાઈ માર્ગદર્શનની ટેક્નોલોજીના વિકાસ વિશે માહિતી મેળવી શકાય છે. નવી પેઢીને દરિયાઈ નૌકાવહનનો ઈતિહાસ સમજાવવામાં આવા મ્યુઝિયમ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પહેલેથી જ અનેક જાણીતા પ્રવાસન સ્થળો છે. હવે દીવાદાંડીઓનો વિકાસ આ પ્રવાસન સર્કિટને વધુ વિસ્તૃત કરી શકે છે. દ્વારકા, ઓખા, પોરબંદર, વેરાવળ, માંગરોળ, ગોપનાથ, ઘોઘા, અલંગ, હજીરા અને ઉમરગામ જેવા વિસ્તારોને દીવાદાંડી પ્રવાસન સાથે જોડવાથી દરિયાઈ પ્રવાસનને નવી દિશા મળી શકે છે.

આ વિકાસથી સ્થાનિક સ્તરે રોજગારની તકો પણ ઊભી થવાની સંભાવના છે. પ્રવાસીઓ વધે તો માર્ગદર્શક સેવા, ખાણી-પીણી, સ્થાનિક હસ્તકલા, પરિવહન અને અન્ય પ્રવાસન આધારિત વ્યવસાયોને લાભ મળી શકે છે.ગુજરાતના બંદરો માત્ર વેપારના કેન્દ્રો નથી તેઓ રાજ્યના ઈતિહાસ, સંસ્કૃતિ અને દરિયાઈ સાહસની કહાની પણ કહે છે. દીવાદાંડીઓ આ કહાનીના મૌન સાક્ષી છે. માંડવીથી ઉમરગામ સુધીની ૧૭ દીવાદાંડીઓનો પ્રવાસનલક્ષી વિકાસ ગુજરાતની દરિયાઈ વિરાસતને લોકો સુધી પહોંચાડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ બની શકે છે.
​​​​​​​
આ રીતે ગુજરાતની ૧૭ દીવાદાંડીઓ હવે માત્ર દરિયામાં જહાજોને રસ્તો બતાવતી પ્રકાશ સ્તંભો નહીં, પરંતુ ઈતિહાસ, ટેક્નોલોજી, સંસ્કૃતિ અને પ્રવાસનનો સંગમ બનીને ગુજરાતની દરિયાઈ ઓળખને નવી ઊંચાઈ આપી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application