ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોની રાજધાની કિન્શાસામાંથી એક અત્યંત દુઃખદ અને ભયાનક દુર્ઘટના સામે આવી છે. અહીં એક ઇમારતમાં આયોજિત લગ્ન સમારોહ દરમિયાન અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ભયાનક અકસ્માતમાં ઓછામાં ઓછા ૨૨ લોકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝી જવાથી ઘાયલ થયા છે. સ્થાનિક અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે ઘટનાની ગંભીરતાને જોતાં મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે.
મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના કિન્શાસાના ઉત્તર ભાગમાં આવેલા ગીચ વસ્તી ધરાવતા લિંગવાલા વિસ્તારમાં શુક્રવારે રાત્રે બની હતી. ઇમારતમાં આગ લાગ્યા બાદ શનિવાર વહેલી સવાર સુધી જ્વાળાઓ અને ધુમાડાના ગોટા ઉડતા રહ્યા હતા. ઇમારતના કોરિડોર અત્યંત સાંકડા હોવાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોને બહાર ભાગી નીકળવામાં ભારે મુશ્કેલી પડી હતી. લગ્ન પ્રસંગમાં હાજર લોકોએ આગમાં ફસાયેલા સ્વજનો અને અન્ય લોકોને બચાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.
આગ લાગ્યા બાદ બચાવ કાર્ય દરમિયાન ઇમારતમાંથી બહાર લાવવામાં આવેલા ઘણા લોકો રસ્તાની બાજુમાં પડેલા મળી આવ્યા હતા, જેમાંથી કેટલાક જીવિત હતા જ્યારે કેટલાક લોકો દમ તોડી ચૂક્યા હતા. લિંગવાલાના મેયર નોર્બર્ટ મુશિંગાએ કોંગો પ્રેસ એજન્સી સાથે વાતચીત કરતા પુષ્ટિ કરી હતી કે હાલ સુધીમાં ૨૨ લોકોના મોત થયા હોવાનું નોંધાયું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે અને મૃત્યુઆંક વધુ વધવાની પૂરી આશંકા છે. જોકે, આગ કયા કારણોસર લાગી તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.
આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કરતા કોંગોના નાયબ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન જેક્વેમિન શબાનીએ તેને એક અત્યંત દુઃખદ અકસ્માત ગણાવ્યો હતો. શનિવારે સવારે તેમણે જાતે ઘટનાસ્થળની મુલાકાત લઈને બચાવ કામગીરી અને સ્થિતિની સમીક્ષા કરી હતી.
નોંધનીય છે કે, કિન્શાસાના ગીચ અને વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાં આવી આગ લાગવાની ઘટનાઓ વારંવાર બનતી રહે છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, વિસ્તારમાં ચાલી રહેલી સૂકી મોસમ દરમિયાન આગ લાગવાનું જોખમ વધી જાય છે અને ચાલુ વર્ષ દરમિયાન જ આવી અનેક આગની દુર્ઘટનાઓ સામે આવી ચૂકી છે.