પાકિસ્તાની મહિલા પુત્ર-પુત્રી અને પૌત્ર સાથે લોધિકામાં 28 વર્ષથી ગેરકાયદે રહેતા’તા, મુનાફ કરાંચી ગયા પછી પાક. મહિલા સાથે નિકાહ કરી ભારત લાવ્યો'તો

  • May 03, 2025 04:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પહેલગામ હુમલા બાદ ગુજરાતમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓને ઝડપી લેવા માટે ઝૂંબેશ ચાલી રહી છે.તેવામાં રાજકોટ જિલ્લાના લોધિકામાં ગેરકાયદે રહેતા ૩ પાકિસ્તાની નાગરિક ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. લોધિકાનો શખસ કરાંચી કામ અર્થે ગયા બાદ અહીંની યુવતી સાથે નિકાહ કરી ભારતમાં લાવ્યો હતો. ત્યારબાદથી ૨૮ વર્ષથી આ પરિવાર અહીં ગેરકાયદે રહેતો હતો. જેમાં મહિલા અને તેનો પુત્ર તથા પુત્રી અને પૌત્રનો સમાવેશ થયા છે. જે અંગે લોધિકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.


પોલીસને બાતમી મળી હતી

જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને જિલ્લા પોલીસવડા હિમકર સિંહની સૂચનાને પગલે રાજકોટ ગ્રામ્ય પોલીસની ટીમો દ્વારા જિલ્લામાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢવા ઝૂંબેશ ચાલી રહી છે. કાર્યરત હતી. લોધીકા પોલીસનાં પીએસઆઈ ઈંદ્રજિતસિંહ સરવૈયાની ટીમ દ્વારા ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સથી તપાસ કરી હતી. દરમિયાન પોલીસની ટીમને હકીકત મળી હતી કે, લોધીકા વિસ્તારમાં ચાર પાકિસ્તાની ગેરકાયદે લાંબા સમયથી વસવાટ કરી રહ્યા છે.


પાકિસ્તાની નાગરિકો કોઈ પણ આધાર પુરાવા વિના  લોધીકામાં રહેતા

લોધીકા પોલીસને મળેલી બાતમીનાં આધારે પોલીસે ખાનગી રાહે તપાસ કરાવતા મુનાફ નામના શખસના ઘરેથી બે મહિલાઓ, એક પુરુષ અને એક સગીર એમ કુલ ૩ પાકિસ્તાની નાગરિકો કોઈ પણ આધાર પુરાવા વિના લોધીકામાં રહેતા હોવાનું સામે આવતા પોલીસે ચારેયને ડિટેઇન કરી પૂછપરછ શરૂ કરી છે.


વિઝા પૂર્ણ થયાં છતાં મહિલાએ વિઝા રીન્યુ કરાવ્યા ન હતા

પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, મુનાફ નામનો આ શખસ ત્રણેક દાયકા પૂર્વે કામ માટે કરાંચી ગયો હતો. જ્યાં તેનો સંપર્ક એક યુવતી સાથે થતાં બંનેએ નિકાહ કરી લીધા હતા. બાદમાં પાકિસ્તાન ખાતે જ એક પુત્ર અને એક પુત્રીનો જન્મ થયો હતો. જે બાદ પાકિસ્તાની મહિલા તેના બંને સંતાનો સાથે વિઝા મેળવીને ભારત આવી હતી અને લોધીકામાં સ્થાયી થઇ હતી. વિઝા પૂર્ણ થયાં છતાં મહિલાએ વિઝા રીન્યુ કરાવ્યા ન હતા અને તેણે લોધીકા ખાતે રહેવાનું ચાલુ રાખ્યું હતું. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર મહિલાનાં પુત્રની ઉમર હાલ 25 વર્ષ છે જયારે દીકરીની ઉમર 22 વર્ષ છે. મહિલાનાં પુત્રનાં પણ લગ્ન થઇ ગયા છે અને તેના ઘરે પણ એક સંતાન છે અને તેઓ છેલ્લા 28 વર્ષથી લોધીકામાં રહે છે.


દેશનિકાલ કરવા તજવીજ હાથ ધરવામાં આવશે

લોધીકા પોલીસે ચારેય પાકિસ્તાની નાગરિકોને અટકાયતમાં લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રાષ્ટ્રીય એજન્સીઓને જાણ કરતા ટૂંક સમયમાં સ્ટેટ આઈબી, સેન્ટ્રલ આઈબી સહિતની એજન્સી દ્વારા પાકિસ્તાનીઓની પૂછપરછ કરી દેશનિકાલ કરવા તજવીજ હાથ ધરવામાં આવશે.


દીકરીનો જન્મ ૨૦૦૨ માં થયો હોવાથી નીયમ મુજબ તે ભારતીય નાગરિક

લોધિકામાંથી પાકિસ્તાની નાગરિક ઝડપાયા અંગે જિલ્લા પોલીસ વડા હિમકર સિંહનો સંપર્ક સાંધતા તેમણે વિગતો આપતા જણાવ્યું હતું. પાકિસ્તાની મહિલાએ લોધિકાના મુનાફ સાથે લગ્ન કર્યા બાદ તેને વર્ષ ૨૦૦૨ માં પુત્રીની પ્રાપ્તી થઇ હતી. જયારે તે સમયે નિયમ મુજબ તેના પિતા ભારતીય હોવાથી તેને ભારતની નાગરિકતા મળી હતી. પણ ત્યારબાદ વર્ષ ૨૦૦૪ માં નિયમ બદલાયા હતાં.જેમાં માતા-પિતા બંને ભારતીય નાગરીક હોય તો જ તેના સંતાનને ભારતીય નાગરિકતા મળે.મહિલાના પુત્રનો જન્મ ૨૦૦૪ બાદ થયો હોય અને બાદમાં પુત્રના ઘરે પુત્ર આવ્યો હોય જેથી મહિલા તેનો પુત્ર અને પૌત્ર ભારતીય નાગરિક ન હોવાથી તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે.જયારે તેની પુત્રી સામે આ કારણોસર કાર્યવાહી થઇ ન શકે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application