ભાયાવદર પોલીસે સરદાર ચોકમાં સેકસ્યુલઅલ પાવર વધારવાની દવાઓનો ઓનલાઇન વેચાણ કરતા કોલ સેન્ટર પર દરોડો પાડયો હતો. પોલીસે ૧૦ આરોપીઓને ઝડપી લઇ રૂ.૩.૯૬ લાખનો મુદામાલ કબજે કર્યો હતો. દરમિયાન પોલીસે હવે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી ગ્રાહકો પાસેથી ગેરકાયદે રીતે મળેવેલ રકમ અંતે તપાસ કરી કુલ રૂ.૩૧.૧૮ લાખ ફ્રિઝ કરવામાં આવ્યા છે.
આરોપીઓના રીમાન્ડ મેળવ્યા હતાં
ગત તા.૩/૧૦/૨૦૨૫ અમો ભાયાવદરના પીઆઇ વી.સી. પરમાર તથા ટીમે ભાયાવદરમાં સરદાર ચોક પાસે આવેલ ઓફીસમાંથી સેકસ્યુઅલ પાવર વધારવાની દવાઓનું તથા વજન ઘટાડવાની તેમજ ડાયાબીટીસની દવાઓનું ગેરકાયદે રીતે વેચાણ કરતુ કોલ સેન્ટર ઝડપી લીધું હતું. પોલીસે દરોડા દરમિયાન ઓફિસ સંચાલક દર્શક મનસુખભાઈ માકડીયા તથા અમિતગીરી રાજેશગીરી મેઘનાથી(ઉ.વ 24), કશ્યપ સુમનભાઈ મકવાણા (ઉ.વ 22 રહે. બંને ભાયાવદર), દર્શન મનોજભાઈ પરમાર(ઉ.વ 20 રહે.મોજીરા, ઉપલેટા), તુષાર ભરતભાઈ વારગીયા(ઉ.વ 22), રોહિત રાજેશભાઈ લધા(ઉ.વ 20), લલિત ચંદુભાઈ વેસરા (ઉ.વ 21), સુજલ સંદીપભાઈ વાળા(ઉ.વ 19) અને જયદીપ સંજયભાઈ રાતડીયા (ઉ.વ 24 રહેે.બધા ભાયાવદર) ને ઝડપી લીધા હતા. જ્યારે આ ગોરખધંધામાં સામેલ કિશન હાજર મળી આવ્યો ન હતો. દરોડા દરમિયાન કોમ્પ્યુટર, લેપટોપ, જુદા-જુદા પ્રકારની આયુર્વેદિક દવાઓ સહિત કુલ રૂપિયા 3,96, 972 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ કોલ સેન્ટરના મુખ્ય આરોપી દર્શક મનસુખભાઇ માકડીયા, (રહે. ભાયાવદર) સહીત કુલ ૧૦ આરોપીઓ પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ હોય અને આરોપીઓના રીમાન્ડ મેળવ્યા હતાં.
આ ગંભીર બનાવને લઇ રાજકોટ રેન્જના આઇજી અશોકકુમાર યાદવ તથા રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર ધોરાજીના ઇન્ચાર્જ ડીવાયએસપી રોહીતસિંહ ડોડીયાએ ગુન્હાના મૂળ સુધી પહોચવા અને બળજબરીથી કઢાવેલ રૂપીયા બાબતે ઉંડાણપૂર્વક તપાસ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને ભાયાવદર પોલીસ મથકના પીઆઇ વી.સી.પરમારની રાહબરીમાં ટીમે તપાસ હાથ ધરી ગુન્હાના મુખ્ય આરોપી દર્શક મનસુખભાઇ માકડીયા તથા જયદીપ સંજયભાઇ રાતડીયા(રહે. બન્ને. ભાયાવદર) એ આ કોલ સેન્ટર મારફતે ગેરકાયદે રીતે મેળવેલ રૂપીયા તેઓના બેંક એકાઉન્ટમાં રાખ્યા હોય જેની વિગત મેળવી કુલ રૂ.૩૧,૧૮,૩૫૮ ફ્રીઝ કરાવવામાં આવ્યા છે.
ભોગ બનનાર પોલીસનો સંપર્ક કરે, ઓળખ ગુપ્ત રખાશે
પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે, મોબાઇલ નં. ૯૯૭૮૨૪૧૦૩૩, ૯૩૧૬૯૩૮૯૪૩, ૭૩૮૭૩૭૭૫૦૫, ૮૮૬૬૪૫૭૦૪૭, ૯૭૩૭૯૪૯૫૮૮, ૮૧૨૮૧૫૭૨૮૪, ૯૯૭૮૪૮૩૬૭૮ અને ૯૫૧૨૨૯૬૩૦૨ ઉપરથી કોઇ દવાનો ઓર્ડર કરેલ હોય અને તે ધાક ધમકી કે અન્ય રીતે બળજબરીથી આ દવા વેચવામાં આવેલ હોય તો ભાયાવદર પોલીસ સ્ટેશન રૂબરૂ જાણ કરો અથવા ભાયાવદર પોલીસ સ્ટેશનના નંબર ૬૩૫૯૬ ર૯૩૭૩ ઉપર સંપર્ક કરી તમારી વિગત જણાવવી. જેથી તમારી રકમ પોલીસ પરત અપાવી શકે. આ બાબતે સંપર્ક કરનારની સંપુર્ણ વિગત ગુપ્ત રાખવામાં આવશે.