રાજકોટમાં સતત ૧૫માં દિવસે કોરોનાના વધુ 8 કેસ મળ્યા, મહિનાઓથી ક્યાંય બહારગામ જ ગયા નથી, છતાં સંક્રમિત થતા લોકલ ટ્રાન્સમિશન શરૂ?

  • June 03, 2025 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાનો નવો દોર શરૂ થયા બાદ રાજકોટમાં તા.૧૯-૫-૨૦૨૫ના રોજ પ્રથમ કેસ મળ્યો હતો ત્યારબાદ લગાતાર કેસ મળવા લાગ્યા છે અને આજે તા.૩ જુનના રોજ સતત ૧૫મા દિવસે કોરોનાના આઠ કેસ મળ્યા છે. આજરોજ જે આઠ કેસ મળ્યા છે તેમાંના એક પણ દર્દીએ ક્યાંય ટ્રાવેલ કર્યું નથી અને તમામએ વેક્સિન લીધેલી છે તેમ છતાં સંકમિત થતા હવે લોકલ ટ્રાન્સમિશન શરૂ થઇ ગયું હોવાનું અનુમાન થઇ રહ્યું છે.


આ વિસ્તારોમાં નવા કોરોના કેસ નોંધાયા

રાજકોટ મહાપાલિકાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે આજે (૧) વોર્ડ નં.૯માં યુનિવર્સીટી રોડ ઉપર ૪૮ વર્ષીય પુરૂષ (૨) વોર્ડ નં.૮માં વૈશાલીગરમાં ૩૦ વર્ષીય યુવતી (૩) વોર્ડ નં.૧૨ મવડીમાં રામધણ આશ્રમ સામે ૪૪ વર્ષીય પુરૂષ (૪) વોર્ડ નં.૮માં નવજ્યોત પાર્કમાં ૪૫ વર્ષીય પુરૂષ (૫) વોર્ડ નં.૧૧માં ન્યુ રિંગ રોડ નજીકના કોકોનટ પાર્ટી પ્લોટમાં ૬૨ વર્ષીય પુરૂષ (૬) વોર્ડ નં.૩માં રેલનગરમાં ૪૪ વર્ષીય પુરૂષ (૭) વોર્ડ નં.૨માં નેહરૂ નગરમાં ૭૯ વર્ષીય પુરૂષ (૮) વોર્ડ નં.૭માં કિસાનપરામાં ૨૬ વર્ષીય પુરૂષ સહિત કુલ આઠ વ્યક્તિ કોરોના સંક્રમિત થયા છે. તા.૧૯-૫-૨૦૨૫થી આજે તા.૩-૬-૨૦૨૫ સુધીમાં કુલ બાવન કેસ મળ્યા છે જેમાંથી ૧૨ દર્દીઓ સાજા થયા છે અને ૪૦ દર્દીઓ હાલ હોમ આઇસોલેશન હેઠળ સારવારમાં છે.


આઠેય દર્દી ક્યાંય બહારગામ જ ગયા નથી

ઉપરોક્ત તમામ દર્દીઓના ઘરે આરોગ્ય શાખાના સ્ટાફએ વિઝીટ કરી દર્દીના પરિવારજનોનો કોવિડ ટેસ્ટ કર્યો હતો પરંતુ તેમાં કોઈ સંક્રમિત નહિ હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસ કરતા ઉપરોક્ત આઠ દર્દીઓ તો મહિનાઓથી ક્યાંય બહારગામ જ ગયા નહીં હોવાનું છતાં સંક્રમિત થયાનું જાણવા મળ્યું હતું. આ દર્દીઓને તાવ, શરદી, ઉધરસ, માથું દુઃખવું, થાક લાગવો જેવા લક્ષણો વર્તાઇ રહ્યા હતા અને દવા લેવા છતાં સાજા નહીં થતા લેબોરેટરી ટેસ્ટ કરાવ્યો હતો જેમાં કોવિડ હોવાનું નિદાન થયું હતું તેમ મ્યુનિ.આરોગ્ય શાખાના સ્ટાફના વર્તુળોએ જણાવ્યું હતું.


આ સમયમાં વિશેષ કાળજી લેવી જરૂરી

હાલમાં કોરોના સંક્રમિત દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરિયાત ઉપસ્થિત થતી નથી હોમ આઇસોલેશન હેઠળ સારવાર આપવાથી જ સાજા થઇ જાય છે તેમ છતાં નાના બાળકો, વયો વૃધ્ધ નાગરિકો તેમજ ગંભીર દર્દો ધરાવતા હોય તેવા નાગરિકોની આ સમયમાં વિશેષ કાળજી લેવી જરૂરી હોવાનું આરોગ્ય નિષ્ણાતો જણાવી રહ્યા છે.


વોર્ડ નં.૮ના કાલાવડ રોડ અને અમિનમાર્ગ સૌથી વધુ કેસ

રાજકોટ શહેરમાં નોંધાયેલા કોરોનાના કેસમાં સૌથી વધુ કેસ કાલાવડ રોડ અને અમિનમાર્ગ વિસ્તારની રહેણાંક સોસાયટીઓમાં નોંધાયા હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને મહાપાલિકાના વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૮માં સતત ૧૫ દિવસથી લગાતાર કેસ મળી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application