જસદણ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી સિંહ અને દીપડાના ધામાને કારણે ગ્રામીણ વિસ્તારોમાં ફફડાટ વ્યાપેલો છે. ત્યારે આજે વહેલી સવારે જસદણના કનેસરા ગામ પાસે આવેલા પ્રસિદ્ધ જડિયા મહાદેવ મંદિર ખાતે દીપડાએ આતંક મચાવ્યો હતો. દીપડાના હુમલામાં મંદિરના મહંત અને તેમને બચાવવા ગયેલા એક ખેડૂત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
આરતી સમયે જ ત્રાટક્યો દીપડો
ઘટનાની વિગતો મુજબ, વહેલી સવારે જ્યારે મંદિરના મહંત શિવજીની આરતી કરી રહ્યા હતા, ત્યારે અચાનક એક ખૂંખાર દીપડો મંદિર પરિસરમાં ધસી આવ્યો હતો. દીપડાએ સીધો જ મહંત પર હુમલો કરી દીધો હતો, જેમાં તેમને ગળા અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. મહંતની બૂમાબૂમ સાંભળી નજીકમાં રહેલા એક ખેડૂત તેમને બચાવવા દોડી આવ્યા હતા, પરંતુ ઉશ્કેરાયેલા દીપડાએ ખેડૂત પર પણ હુમલો કરી તેમને લોહીલુહાણ કરી દીધા હતા.
લોકોએ દીપડાને રૂમમાં પૂર્યો, ઇજાગ્રસ્તો રાજકોટ રિફર
સ્થાનિકોએ હિંમત દાખવી બંને ઇજાગ્રસ્તોને બચાવ્યા હતા અને સમયસૂચકતા વાપરી દીપડાને એક રૂમમાં પૂરી દીધો હતો. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે મહંત અને ખેડૂતને જસદણ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, બંનેની હાલત નાજુક જણાતા પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ રિફર કરવામાં આવ્યા છે.