કેન્દ્રીય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠકમાં આજે ભારત અને ખાસ કરીને ગુજરાતના વિકાસને નવી ગતિ આપતા ચાર મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બેઠક બાદ માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકારે વિવિધ ક્ષેત્રો માટે કુલ રૂપિયા 3,18,165 કરોડની યોજનાઓને મંજૂરી આપી છે. આ નિર્ણયોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કૃષિ અને ઉર્જા ક્ષેત્ર પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે કેન્દ્ર સરકારે અમદાવાદ (સરખેજ) થી ધોલેરા વચ્ચે સેમિ હાઈ-સ્પીડ ડબલ-લાઈન રેલ પ્રોજેક્ટને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. અંદાજે રૂપિયા 20,665 કરોડના ખર્ચે સાકાર થનારો આ પ્રોજેક્ટ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR) માટે કરોડરજ્જુ સમાન સાબિત થશે. ધોલેરામાં ભારતનો પ્રથમ સેમિ કન્ડક્ટર પ્લાન્ટ બની રહ્યો છે, ત્યારે આ ઝડપી રેલ કનેક્ટિવિટી ઉદ્યોગો અને સ્થાનિક વેપાર માટે 'ગેમ-ચેન્જર' સાબિત થશે અને માલસામાનની હેરફેરને અત્યંત વેગવંતી બનાવશે.
ખેડૂતો માટે રાહતના સમાચાર: ખરીફ પાકના ટેકાના ભાવ
ખેતી અને ખેડૂતોના કલ્યાણને પ્રાધાન્ય આપતા કેબિનેટ દ્વારા વર્ષ 2026-27ની સિઝન માટે ખરીફ પાકના લઘુતમ ટેકાના ભાવ (MSP) અંગે મોટો નિર્ણય લેવાયો છે. સરકાર દ્વારા MSP પેટે રૂપિયા 2,60,000 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે. આ નિર્ણયથી દેશના કરોડો ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળી રહેશે અને તેમની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે.
ઉર્જા ક્ષેત્રે સ્વનિર્ભરતા: કોલ ગેસિફિકેશન સ્કીમ
ભારતને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાના લક્ષ્યાંક સાથે કેબિનેટે રૂપિયા 37,500 કરોડની 'કોલ ગેસિફિકેશન' યોજનાને મંજૂરી આપી છે. આ સ્કીમ દ્વારા કોલસાનો સ્વચ્છ ઉર્જા તરીકે ઉપયોગ કરવાની ક્ષમતા વધશે, જે પર્યાવરણ અને ઉદ્યોગો બંને માટે ફાયદાકારક રહેશે. ઉર્જાની વધતી જતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે આ એક વ્યૂહાત્મક પગલું માનવામાં આવે છે.
નાગપુર એરપોર્ટનો થશે કાયાકલ્પ
ઉડ્ડયન ક્ષેત્રે કનેક્ટિવિટી સુધારવા માટે નાગપુર ઇન્ટરનેશનલ એરપોર્ટના અપગ્રેડેશન અંગે પણ મહત્વનો પોલિસી નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ દ્વારા એરપોર્ટની સુવિધાઓ આધુનિક બનશે અને મુસાફરોની ક્ષમતામાં વધારો થશે, જે મધ્ય ભારતની કનેક્ટિવિટી માટે મહત્વનું રહેશે.