ખોડલધામના મંચ પર જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે સુખદ સમાધાન થયું છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને જયેશ રાદડિયા એકબીજાને ભેટી પડ્યા હતા. આ તકે જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, જયેશ રાદડિયા રહે કે ના રહે ખોડલધામ હંમેશા રહેવાનું છે.
આ મામલે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, નરેશભાઈ પટેલ મારા અને જયેશ રાદડિયા કરતા મોટા છે અને પિતાતુલ્ય છે. સમાજ અગ્રણીઓ એક છે અને એક જ રહેવાના છે.
લેઉઆ પટેલ સમાજના બે મોભીઓ વચ્ચે મનદુઃખ દૂર થતા સમાજના અગ્રણીઓએ પણ ખુશી વ્યક્ત કરી હતી.
ખોડલધામ ખાતે લેઉવા પાટીદાર સમાજ દ્વારા શક્તિ પ્રદર્શનના કાર્યક્રમમાંથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને લેઉવા પાટીદાર અગ્રણી તેમજ ધારાસભ્ય જયેશ રાદડિયા વચ્ચે ચાલી રહેલો 'કોલ્ડવોર' આ કાર્યક્રમમાં સમાપ્ત થયો છે. ઇફ્કોની ચૂંટણી બાદ જયેશ રાદડિયાએ અનેકવાર નામ લીધા વિના સમાજના અગ્રણીઓ પર નિશાન સાધ્યું હતું અને તેમને રાજકારણ કરવું હોય તો ખુલ્લા મેદાને આવવા માટે ટકોર પણ કરી હતી. જોકે, આ કાર્યક્રમમાં જયેશ રાદડિયાની ઉપસ્થિતિથી નરેશ પટેલ અને તેમની વચ્ચે સુખદ સમાધાન થયું છે. હાલ ખોડલધામ ખાતેના કાર્યક્રમમાં જયેશ રાદડિયા હાજર રહેતા તમામ મતભેદો અને મનભેદો દૂર થયા હોવાની ચર્ચા સમાજમાં ચાલી રહી છે, જે લેઉવા પાટીદાર સમાજ માટે એક સકારાત્મક સંકેત છે.