તાજેતરમાં રાજકોટ મહાપાલિકાએ વાવડી વિસ્તારમાં આવાસ યોજના સાથે બનાવેલા શોપિંગ સેન્ટરમાં રહેલી આઠ દુકાનોની હરાજી કરતા કુલ રૂ.૩.૪૨ કરોડની આવક થઇ હતી, દરમિયાન સારા ભાવ ઉપજતા હવે આગામી દિવસોમાં પડતર રહેલી અન્ય દુકાનોની હરાજી કરવા વિચારણા શરૂ કરાઇ હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના એસ્ટેટ ઓફિસર મેહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપર પુનિતનગર પાણીના ટાંકા સામેના રોડ ઉપર શ્યામલ વાટિકા પાસે, ટીપી સ્કિમ નં.૧૫ (વાવડી)ના એફ.પી.૧૫/એ-૨૮/એ ખાતે વેસ્ટ ઝોન પેકેજ-૫ હેઠળ તૈયાર થયેલ મનસુખભાઇ છાપીયા ટાઉનશીપના શોપીંગ સેન્ટરની કુલ આઠ દુકાનોની જાહેર હરરાજી સાઇટ ખાતે જ યોજાઇ હતી. જેમાં આ તમામ આઠ દુકાનોની અપસેટ કિમત રૂ.૨૩૬.૧૦ લાખ રાખવામાં આવેલ જેની સામે રૂ.૩૪૨.૧૦ લાખની કિંમત ઉપજી હતી. હરરાજીમાં ૫૧ ખરીદદારોએ ભાગ લીધો હતો.