ઢેલના મૃતદેહ સાથે મળી આવેલા બંને શખ્શોના જામીન ફગાવાયા: જેલહવાલે થયા

  • May 03, 2025 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના સોઢાણા નજીક રોડની સાઇડમાં મળેલ ઢેલના મૃતદેહને વનવિભાગને સોંપવાના બદલે ઘરે ભોજન માટે લઇ જતા બે શખ્શોને ગ્રામજનોએ પકડી પાડયા બાદ વનવિભાગે એક દિવસના રીમાન્ડ ઉપર લીધા હતા અને આ રીમાન્ડ પૂર્ણ થતા તેમને જેલહવાલે કરી દેવામાં આવ્યા છે.
પોરબંદર વનવિભાગના નાયબ વન સંરક્ષક અક્ષય જોષી તથા એ.સી.એફ. રાજલ પાઠકના સીધા માર્ગદર્શન હેઠળ બરડા અભ્યારણ્ય રેન્જના આર.એફ.ઓ.  સામત ભમ્મરની ટીમ દ્વારા  પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકાના સોઢાણા ગામે વર્તુ નદી નજીકથી બે ઇસમોને રોડની સાઇડમાંથી મૃત હાલતમાં મોર માદા(ઢેલ) જીવ-૧ મળી આવતા આ ઇસમો દ્વારા તેને રાંધી પોતાના ખોરાકમાં ઉપયોગ કરવાના હેતુથી ગેરધોરણે કબ્જામાં રાખવા આવેલ હતી. જે ઢેલને આ બન્ને ઇસમો પાસેથી વન વિભાગ દ્વારા કબ્જે લઇ, આ ઇસમો સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ની કલમની જોગવાઇ મુજબ ગુન્હો નોંધી, જે અન્વયે આરોપી ધમા કુરજીભાઇ પરમાર, રહે. કોલીખડા હાલ રહે. અડવાણા રાવલ ગોલાઇવાળા તથા ભુપત રવજીભાઇ સોલંકી રહે. અડવાણા રાવલ ગોલાઇવાળાની અટક કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. બાદમાં  ત્રીજા એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ પોરબંદરની કોર્ટમાં આરોપીઓને રજૂ કરી વધુ તપાસના કામે  પોરબંદર કોર્ટ દ્વારા દિવસ ૧ના રીમાન્ડ મંજુર કરવામાં આવેલ હતા. ત્યારબાદ રીમાન્ડનો સમય પૂર્ણ થતા તેઓને ફરીથી ત્રીજા એડીશનલ ચીફ  જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા તેઓની જામીન અરજી રદ કરી અને જેલહવાલે કરવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application