એક તરફ બાંગ્લાદેશ ભડકે બળી રહ્યું છે, હિન્દુઓની હત્યાના મુદે ભારતમાં રોષ છે, આ સંવેદનશીલ સમયે જામનગરમાંથી પાંચ બાંગ્લાદેશીઓ ઝડપાયા હોવાથી ભારે ખળભળાટ મચી ગયો છે, ત્રણ મહીલા અને બે પુરૂષ પાસે પશ્ર્ચિમબંગાળના આધારકાર્ડ હોવાની પ્રાથમિક વિગતો મળી છે, આ અંગે ભારતીય એમ્બેસીને જાણ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે, આ પ્રકરણ સામે આવતાં ભારે ચર્ચા જાગી છે.
સમગ્ર ભારત દેશના જુદા જુદા રાજ્યોમાંથી બાંગ્લાદેશીઓને શોધી કાઢવામાં આવી રહ્યા છે. તેમજ ભારતના ચૂંટણી તંત્ર દ્વારા એસ.આઈ.આર.ની પણ કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે જામનગર શહેરમાંથી પણ ત્રણ મહિલા સહિતના પાંચ બંગલાદેશી નાગરિકો મળી આવતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ છે.
જામનગરની એસ.ઓ.જી. શાખાની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે શહેરના પટેલ કોલોની વિસ્તારના છેવાડાના ભાગમાં કેટલાક લોકો ભાડાના મકાનમાં રહે છે, જેઓ ભારતના નાગરિકો નહીં, પરંતુ બાંગ્લાદેશી હોવાનું જાણવા મળ્યું હતું. જે બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટુકડીએ ત્યાં જઈ ચેકીંગ કરતાં એક ભાડાના મકાનમાં ત્રણ મહિલા અને બે પુરુષ સહિતના પાંચ નાગરિકો મળી આવ્યા હતા.
તેઓની પુછપરછ કરતાં તેઓ પાસેથી પશ્ચિમ બંગાળના રહેવાસી હોવાના આધારકાર્ડ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા સર્ચ દરમિયાન બે મહિલાઓ ઘણા સમયથી અહીં ભાડેથી રહેતી હતી, જ્યારે ત્રીજી એક મહિલા તાજેતરમાં જ અહીં રહેવા આવી હોવાનું ઉપરાંત અન્ય બે પુરુષો પણ થોડો સમય પહેલા રહેવા માટે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
તેઓ પાસે પાસપોર્ટ નહીં હોવાનું અને પોતે બાંગ્લાદેશથી આવ્યા હોવાનું પોલીસ તંત્રને ધ્યાન પર આવ્યુ હતુ જેથી એસ.ઓ.જી. શાખાની ટુકડી દ્વારા પાંચેય સામે પાસપોર્ટ ધારા ભંગ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવા અને ભારતીય એમબીસીને જાણ કરવા માટેની પ્રક્રિયાઓ હાથ કરવામાં આવી રહી છે.