ભાણવડ - ખંભાળિયા રોડ પર ભાણવારી ગામ નજીક એક ગર્ભવતી માતાને એક વાહન ચાલક દ્વારા હડફેટે લેતા આ ગર્ભવતી માતા ગંભીર રીતે ઘાયલ થઈ અને અકસ્માતે સાત બચ્ચાઓને જન્મ આપી દીધો હતો.
કમનસીબે અકસ્માતને કારણે આ માદા શ્વાન માતાને પેટના ભાગે ખૂબ ગંભીર ઇજા થઈ હતી.સ્થાનિક જીવદયા પ્રેમી લોકો દ્વારા તુરત ત્યાંથી સલામત સ્થળે લઈ અને તેને પ્રાથમિક મદદ કરી હતી. બાદમાં સ્થાનિકો દ્વારા ભાણવડના એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરાયો હતો.
આ ટ્રસ્ટના સભ્યો દ્વારા ગંભીરતાને ધ્યાને રાખી તાત્કાલિક એનિમલ એમ્બ્યુલન્સ મારફતે આ ઘાયલ માદા શ્વાન અને તેના સાત બચ્ચાઓને ત્યાંથી રેસ્ક્યુ કરી ટ્રસ્ટ દ્વારા કાર્યરત શિવ બળદ આશ્રમ ખાતે લઈ જવાયા, ત્યાં વેટરનરી ડોક્ટર દ્વારા પેટના ભાગે ૧૮ક જેટલા ટાંકાઓ લઈ અને સલામતી પૂર્વક સારવાર કરાઈ હતી. સારવાર બાદ તેની સેવા અને સલામતી અર્થે પોરબંદર સ્થિત ઉદય કારાવદરા ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે રિફર કરી નવજીવન અપાયું હતું.
આ સેવા કાર્યમાં ટ્રસ્ટના અશોકભાઈ ભટ્ટ, ડો. શિવમ વીસાવાડીયા, દુદાભાઈ ભરવાડ, મેરામણભાઇ, અનિલ પરમાર, વિશાલ ભરવાડ અને અક્ષય સૂચક જોડાયા હતા.