આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ ગઈકાલથી રાજકોટની મુલાકાતે છે. તેઓએ આજે જણાવ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસ એક છે. જેના જવાબમાં ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ જણાવ્યું હતું કે, તમે રાહુલજી અને સોનિયાજીના બંગલા પર જઈને ખીર-ચુરમા ખાવ છો. ગળે મળો છો. ભાજપને હરાવવા માટેને ષડયંત્રો કોંગ્રેસની આગેવાનીમાં તમે કર્યા છે.
કેજરીવાલનું એક જ કામ છે જોરથી બોલવું, જુઠ્ઠું બોલવું
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કેજરીવાલનું એક જ કામ છે જોરથી બોલવું, જુઠ્ઠું બોલવું અને લોકોને ભ્રમિત કરવા. ગુજરાતની શાંતિ અને સલામતિ ડહોળવાના, શાંત પાણીમાં પથરા નાખવાનું આખી ટીમ કામ કરી રહી છે. કેજરીવાલ એમ કહે છે કે ભાજપ અને કોંગ્રેસ એક સિક્કાની બે બાજુ છે. કેજરીવાલજી આ ગુજરાત છે, ગુજરાતીઓ છે બધા જાણે છે કે, 2024ની લોકસભાની ચૂંટણી ઇન્ડિયા ગઠબંધનમાં રહીને લડ્યા છો આખા દેશમાં. તમે રાહુલજી અને સોનિયાજીના બંગલા પર જઈને ખીર-ચુરમા ખાવ છો. ગળે મળો છો. ભાજપને હરાવવા માટેને ષડયંત્રો કોંગ્રેસની આગેવાનીમાં તમે કર્યા છે.
આજે પણ તમારા કેસો પેન્ડિંગ છે, તમે હાલ જામીન પર છો
બોઘરાએ વધુમાં જણાવ્યું હતું કે, તમે ભાજપ અને કોંગ્રેસ એક છે એ સર્ટિફિકેટ આપવા માટે ગુજરાત આવશો? એ ગુજરાતની જનતા જાણે છે. તમે એમ કહો છો કે ભારતીય જનતા પાર્ટી અહંકારી છે. આજે પણ તમારા કેસો પેન્ડિંગ છે અને તમે જામીન પર છો. આપે દિલ્હીની જનતાને કહ્યું હતું કે, અમે આમ આદમીની સરકાર બનીશું. પણ તમે કરોડો રૂપિયાના શિશ મહેલો બનાવ્યા, દિલ્હીમાં લિકર પોલિસી વિરૂદ્ધના પૂરાવા કોર્ટમાં રજૂ છે. એ તપાસનીશ એજન્સીઓ પર પણ તમને શંકા છે.
તમે મનિષ સિસોદિયા સાથે દિલ્હીમાં જે કૌભાંડો કર્યા છે એ આખા દેશની જનતા જાણે છે
બોઘરાએ આગળ ઉમેર્યું હતું કે, તમે મનિષ સિસોદિયા સાથે દિલ્હીમાં જે કૌભાંડો કર્યા છે એ આખા દેશની જનતા જાણે છે. કોર્ટના ચોપડા પર ઓન રેકોર્ડ પૂરાવા છે. ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી શાંતિથી વિકાસના કામ થઈ રહ્યા છે. ગુજરાતમના ખેડૂતોને 10 હજાર કરોડનું સહાય પેકેજ આપ્યું છે. કેજરીવાલ દિલ્હીમાં ગુજરાતીઓને ગાળો દે છે. તમે સૌરાષ્ટ્રમાં આવવાની ભૂલ ન કરતા કારણ કે તમને બધા જાણે છે.