રાજકોટમાં આજે હત્યાની વધુ એક ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. શહેરના ભગવતીપરા વિસ્તારમાં આવેલા કોપર ગ્રીન સોસાયટીમાં રહેતા 33 વર્ષીય સ્નેહાબેન આસોડીયાનો માથું છૂંદેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. સ્નેહાબેનની તેઓના ઘરથી 200 મીટર દૂર ખુલ્લા પટમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યાં છે. હત્યા પહેલાના મહિલાના સીસીટીવી સામે આવ્યા છે.
આખો રસ્તો સુમસામ ભાસી રહ્યો છેસીસીટીવામાં જોમા મળ્યા મુજબ, મહિલા ઘરેથી નીકળી ત્યારે એકલી રસ્તા પર ચાલતી જોવા મળે છે. મહિલાના હાથમાં થેલી જેવી વસ્તુ જોવા મળે છે. મહિલા જે રસ્તા પરથી પસાર થાય છે તે દરમિયાન બે જ ટુ-વ્હિલર નીકળતું જોવા મળે છે. બાકી આખો રસ્તો સુમસામ ભાસી રહ્યો છે.
સાંજે પોતાના પતિને પાણીપૂરી ખાવા જાઉં છું, કહી ઘરેથી નીકળી હતી
ગઈકાલે સાંજે પોતાના પતિને પાણીપૂરી ખાવા જાઉં છું, કહી ઘરેથી નીકળ્યાં હતાં અને બાદમાં પરત ફર્યા જ નહોંતાં. જે બાદ આજે સવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો, જેથી પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા અને DCP ક્રાઈમ જગદીશ બાંગરવા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હત્યા કોણે કરી તે હજુ અકબંધ છે, ત્યારે પોલીસે હત્યારાને ઝડપી પાડવાં ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી મુજબ, રાજકોટમાં બેડી ચોકડી પાસે સ્નેહાબેન આસોડિયાનું માથું છૂંદેલી હાલતમાં અને હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક મહિલા ભગવતીપરા કોપરગ્રીન સોસાયટીમાં રહેતી હતી અને તેમણે પોતાના પતિને પોતે પાણીપુરી ખાવા જઈ રહી હોવાનું કહીને ફેક્ટરીમાંથી પાછા આવતી વખતે તેમને લેતા આવવા જણાવ્યું હતું. આ ગંભીર ઘટનાની જાણ થતાં જ રાજકોટના પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા અને ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હત્યાના આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
હત્યાનું કારણ અકબંધ
એસીપી બી. વી. જાધવે જણાવ્યું હતું કે, બી-ડિવિઝન પોલીસ વિસ્તારમાં અવાવરું જગ્યાએ સ્નેહાબેનનું રાત્રિ દરમિયાન કોઈપણ સમયે અજાણ્યા ઈસમે મોઢાના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરીને મૃત્યુ નીપજાવ્યું છે. હાલમાં હત્યા પાછળનું કારણ જાણવા પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે, હત્યાનું કારણ અકબંધ છે. તેઓ રાત્રે 7:30-8 વાગ્યે ઘરે પાણીપુરી ખાવા જવાનું કહીને તેઓ બહાર નીકળ્યા હતા અને રાત્રિ દરમિયાન ઘરે પરત ફર્યા ન હતા, જે બાદ આજે સવારે મૃતદેહ મળ્યો હોવાની જાણ થઈ હતી.
મને મારા સાળાએ જાણ કરી હતી
મહિલાના પરિવારજને જણાવ્યું હતું કે, રાત્રે તે પાણીપુરી ખાવા ગઈ હતી, જે બાદ ઘરે પરત ફરી ન હતી. મને જાણ કરીને ગઈ હતી કે ઘરે પરત ફરતી સમયે મને તેડતા જજો પણ તે ક્યાંય દેખાઈ ન હતી એટલે હું ઘરે પહોંચ્યો હતો. જ્યાં ઘરની લાઈટ-પંખા ચાલુ હતા અને ફોન પણ ચાર્જિંગમાં મુકેલો હતો. મને મારા સાળાએ જાણ કરી હતી કે, ફોનમાં આવું કંઈક આવ્યું છે ત્યારે જાણ થઈ હતી.
અમારે નાના-મોટા ઝઘડો થતા હતા, પરંતુ આવો સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે મારી પત્નીનું મૃત્યુ થઈ જશે. મને માનવામાં આવતું નથી કે મારી પત્નીનું મૃત્યુ થયું છે. મારા ત્રણ વર્ષ પહેલાં લગ્ન થયા છે અને હું મારા પત્ની અને પુત્ર સાથે અહીં રહું છું. મારો બે વર્ષનો પુત્ર શિવાંશ છે.