આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે કરવામાં આવી હતી. માણસાની સાયન્સ કોલેજના વિશાળ મેદાનમાં આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશેષ ઉપસ્થિતિ રહી નાગરિકો સાથે સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો. 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આયોજિત આ મહોત્સવમાં હજારોની સંખ્યામાં સ્થાનિકો, યુવાનો અને વડીલો ઉત્સાહભેર જોડાયા હતા, જેના કારણે સમગ્ર માણસા નગર યોગમય વાતાવરણમાં ગરકાવ થઈ ગયું હતું.
આ કાર્યક્રમને સંબોધિત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, યોગ એ માત્ર એક દિવસ પૂરતો સીમિત રાખવાનો કાર્યક્રમ નથી, પરંતુ તેને પ્રત્યેક નાગરિકે પોતાની રોજિંદી જીવનશૈલીનો અનિવાર્ય હિસ્સો બનાવવો જોઈએ. યોગ એ માનવ સ્વાસ્થ્ય માટે એક સર્વગ્રાહી અભિગમ છે, જે જીવનભર આરોગ્યનું રક્ષણ કરતું એક મજબૂત કવચ પૂરું પાડે છે. યોગનો મુખ્ય આધાર પ્રાણ વાયુ એટલે કે શુદ્ધ ઓક્સિજન છે. આ શુદ્ધ હવા મેળવવા માટે તેમણે રાજ્યભરમાં 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવા અને દરેક વિસ્તારમાં ઓક્સિજન વન તૈયાર કરવા માટે જનતાને આહવાન કર્યું હતું.
ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવતા પ્રહલાદનગર ગાર્ડન ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહની સાથે હર્ષ સંઘવીએ યોગ કર્યા હતા. તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર હિતેશ બારોટ સહિત કોર્પોરેશનના પદાધિકારીઓએ પણ યોગ કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવતા તમામ ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પાલડીમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા ઇવેન્ટ સેન્ટર ખાતે સામૂહિક યોગ કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી.તેમજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી બાદ મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થતા હોવાથી 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જળકલ્યાણની પણ ઉજવણી કરવામાં આવી હતી. તેમજ અમિત શાહે સરકારની કામગીરીની માહિતીઓ નાગરિકોને આપી હતી.