જામનગરમાં બે શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્રો, સભાગૃહ, ફ્લાયઓવર, એમ.પી.શાહ મેડિકલ કોલેજ ખાતે ૨ બોયઝ હોસ્ટેલ, ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજનું અપગ્રેડેશન અને બાંધકામ સહિતની સુવિધાઓનો થશે ઉમેરો
-: મુખ્યમંત્રી:-
માત્ર શહેરીજનો નહીં પરંતુ છેવાડાના માનવી સુધી સુખાકારીઓ પહોચાડવા ગુજરાત સરકાર પ્રત્યનશીલ
જામનગરના જામસાહેબે વડાપ્રધાનને સૌથી પહેલા ઓપરેશન સિંદુરની સફળતા અંગે શુભકામનાઓ પાઠવી
સ્વચ્છતાના અભિગમને સ્વભાવમાં અપનાવી સ્વચ્છ ભારત અભિયાનમાં સહભાગી થવા નાગરિકોને મુખ્યમંત્રીનો અનુરોધ
આ વર્ષના ગુજરાતના બજેટમાં રૂ.૩૦ હજાર કરોડ શહેરી વિકાસ માટે ફાળવવામાં આવ્યા
જામનગરને મળેલા વિકાસ કાર્યોની ભેટ શહેરની પ્રગતિની સાથે લોકોની સુખાકારીમાં વધારો કરશે- મંત્રી મુળુભાઈ બેરા
'ડબલ એન્જિન' સરકારના યોગદાનથી ટ્રેડિશનલ મેડિસિન, ઔદ્યોગિક વિકાસ, બ્રાસ અને ઓઇલ નિકાસ સહીતના ક્ષેત્રે વૈશ્વિક સ્તરે જામનગરનું નામ અંકિત થયું-સાંસદ પૂનમબેન માડમ
જામનગર તા.૭ જૂન, રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર શહેરના એમ.પી.શાહ ટાઉનહોલ ખાતે “શહેરી વિકાસ વર્ષ ૨૦૦૫” ના ૨૦ વર્ષની પૂર્ણતાના અવસરે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર શહેર તથા ગ્રામીણ વિસ્તારોના રૂ. ૪૩૦ કરોડ ૫૦ લાખના ખર્ચે વિવિધ ૩૦ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમહૂર્ત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદુરની સફળતા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદનનો સંદેશો સૌ પ્રથમ જામનગરના રાજવી શત્રુશલ્યસિંહજીએ પાઠવ્યો હતો. આ બાબતનો મુખ્યમંત્રીએ સગૌરવ ઉલ્લેખ કરીને જામનગરવાસીઓની સરાહના કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસની રાજનીતિથી નવો આધ્યાય આલેખવાની વડાપ્રધાનની દૂરંદેશિતાને બિરદાવતાં કહ્યું હતું કે, સેવા, સમર્પણ, સુશાસનના સમન્વયથી નાગરિકોની સુવિધા અને સુખાકારી વધે તે માટે વડાપ્રધાનશ્રીની રાહબરી હેઠળ રાજ્યમાં આયોજનબદ્ધ કામગીરી કરાઈ રહી છે.
વડાપ્રધાનશ્રીએ દેશને આપેલા સંકલ્પો પૈકી તાજેતરમાં જ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્યમાં ૧૭.૫૦ કરોડ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું જે સમગ્ર દેશમાં બીજા ક્રમે છે. ગુજરાત રાજ્ય પ્લાસ્ટિક મુક્ત બને તે થીમ પર ચાલુ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી છે, તેમ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું.
શહેરી સ્વચ્છતાનો અભિગમ નાગરિકોએ પોતાના સ્વભાવમાં અપનાવી સ્વચ્છ ભારત અભિયાનમાં સહભાગી થવા જામનગરવાસીઓને મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો. વડાપ્રધાનએ દીર્ઘ દ્રષ્ટિ અપનાવી ભવિષ્યમાં પાણીની અછત ન સર્જાય તે માટે સમગ્ર દેશમાં ‘કેચ ધ રેઇન’ અભિયાન શરૂ કરાવ્યું છે. આ અભિયાન દરેક શેરી, મહોલ્લાઓ સુધી પહોંચે અને વરસાદી પાણીનો વધુમાં વધુ સંગ્રહ થઈ શકે તે પ્રકારે સરકારથી માંડીને જન પ્રતિનિધિઓ કામ કરી રહ્યા છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારત દેશ વિકસિત બને તે માટે વોકલ ફોર લોકલ અભિગમ અપનાવવા, યોગથી આયુષ્માન સુધીની સેવાઓ લોકો સુધી પહોંચાડવા તથા સરકારી યોજનાઓના મધ્યમાં છેવાડાના માણસને રાખી તે પ્રકારની સેવાઓ પૂરી પાડવા સરકાર કાર્યરત છે. વિકાસકાર્યોનો લાભ લાંબા ગાળા સુધી લોકોને મળતો રહે તે હેતુથી ઉચ્ચ ગુણવત્તા સાથે સમગ્ર રાજ્યમાં વિકાસ કાર્યો થઈ રહ્યા છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત બનાવવા માટે ગુજરાત અગ્રેસર રહે તે માટે સરકાર કટિબદ્ધ છે.
આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે જામનગર જિલ્લો વિકાસની દિશામાં સતત પ્રગતિ કરી રહ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ભુજ ખાતેથી જામનગર જિલ્લાને અનેક વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી, અને આજે ફરીથી જામનગરને મળનારા રૂ.430 કરોડથી વધુના વિકાસ કામો સમગ્ર જિલ્લાના વિકાસને નોંધપાત્ર ગતિ પ્રદાન કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, છેલ્લા 20 વર્ષમાં જામનગર જિલ્લાને રૂ.2500 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પો મળ્યા છે. ત્યારે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પિત થઈ રહેલા શિક્ષણ, આરોગ્ય, પરિવહન, બાંધકામ સહિતના વિકાસ કામો જામનગરને નવી ઊંચાઈએ લઈ જશે અને શહેરીજનોની સુખાકારીમાં વધારો કરશે.
આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ વિકાસ યાત્રાના આજે આપણે સૌ સાક્ષી બન્યા છીએ. તેમણે શહેરોના વિકાસની પડકારજનક સ્થિતિને સ્વીકારી તેમને આધુનિક અને વિકસિત બનાવ્યા છે. આજે 'ડબલ એન્જિન' સરકારના કારણે જામનગરે વિકાસની અનેક ઊંચાઈઓ સર કરી છે.વર્ષ 2014 પહેલા શહેરી વિકાસમાં કેન્દ્ર સરકારની ભાગીદારી ખૂબ ઓછી હતી, પરંતુ હવે કેન્દ્ર અને રાજ્ય સરકાર નાગરિકો સુધી પહોંચી છે અને વિકાસ કામોને સરળતાથી મંજૂરી મળી રહી છે, જેનાથી શહેરોની માળખાકીય સુવિધાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દૂરંદેશીતાને કારણે જામનગરે ટ્રેડિશનલ મેડિસિન, ઔદ્યોગિક વિકાસ, બ્રાસ અને ઓઇલ નિકાસ સહિતના ક્ષેત્રોમાં વૈશ્વિક સ્તરે પોતાનું નામ અંકિત કર્યું છે. સાંસદએ સૌને વડાપ્રધાનના "વોકલ ફોર લોકલ" મંત્રને સાકાર કરવા પણ અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રી દ્વારા રૂ.૩૪ કરોડ ૭૪ લાખના ખર્ચે લોકાર્પણ કરાયેલા મુખ્ય કામોમાં ૨ શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્રો, જામનગર મહાનગર પાલિકા ઓફિસ કેમ્પસમાં નિર્માણ પામેલ નવું જનરલ બોર્ડનું બિલ્ડીંગ, શાળાઓમાં નવા ક્લાસરૂમ તેમજ રૂ.૩૯૫ કરોડ ૭૬ લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરાયેલા કામોમાં એમ.પી.શાહ મેડિકલ કોલેજમાં ૨ હોસ્ટેલો, સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલનું અપગ્રેડેશન અને બાંધકામ, ફ્લાયઓવર, સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા સીવેજ પમ્પીંગ સ્ટેશન, ફાયર સ્ટેશન, શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તાના કામોનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા મુખ્યમંત્રીનું મોમેન્ટો, શાલ અને હાલારી પાઘડીથી સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ જામનગરની વિકાસયાત્રાને વર્ણવતી કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેએ ગુજરાતના શહેરી વિકાસના ૨૦ વર્ષની ઉજવણીના ઉપક્રમે જામનગરની છેલ્લા ૨૦ વર્ષની વિકાસયાત્રાને વર્ણવતી દસ્તાવેજી ફિલ્મ નિહાળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech